10 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ વિરાસત ટેક્સ પછી એક અન્ય વિવાદિત નિવેદન આપ્યું છે. પિત્રોડાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ ભારતના વિવિધ ભાગમાં રહેતા લોકોની વિવાદિત રીતે સરખામણી કરતા જોવા મળી રહ્યા છે.
આ વીડિયોમાં સામ પિત્રોડાને કહેતા સાંભળી શકાય છે કે, ‘ભારત એક અત્યંત વિવિધતા ભરેલો દેશ છે, જ્યાં પૂર્વી ભારતમાં રહેતા લોકો ચીનના લોકો જેવા, પશ્ચિમમાં રહેનાર અરબ જેવા, ઉત્તર ભારતમાં રહેતા લોકો શ્વેતોની જેમ અને દક્ષિણમાં રહેનારા આફ્રિકન લોકોની જેમ દેખાય છે. પરંતુ તેનાથી ફરક પડતો નથી, આપણે બધા ભાઈ-બહેન છીએ. આપણે તમામ ભાષાઓનું સમ્માન કરીએ છીએ.’
તેમણે કહ્યું કે આપણે વિવિધ ભાષા, ધર્મ અને રીતિ-રિવાજોનું સન્માન કરીએ છીએ. આ તે જ ભારત છે, જેના ઉપર મારો વિશ્વાસ છે, જ્યાં દરેક વ્યક્તિનું સન્માન છે અને દરેક વ્યક્તિ કોઈને કોઈ જગ્યાએ થોડો સમજોતો કરે છે.
નોંધનીય છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદનમાં કહ્યું હતું કે જો ચૂંટણી પછી તેમની સરકાર સત્તામાં આવી તો એક સર્વે કરવામાં આવશે અને જાણકારી લેવામાં આવશે કે કોની પાસે કેટલી સંપત્તિ છે. તેમના આ નિવેદન અંગે જ્યારે સામ પિત્રોડાને પૂછવામાં આવ્યું તો તેમણે અમેરિકામાં લાગતા વિરાસત ટેક્સનો ઉલ્લેખ કર્યો હતો.
પિત્રોડાએ કહ્યું કે અમેરિકામાં વિરાસત ટેક્સ લાગે છે. જો કોઈ વ્યક્તિ પાસે 10 કરોડ ડોલરની સંપત્તિ છે. તેમના મૃત્યુ પછી 45 ટકા મિલકત તેમના બાળકોને ટ્રાન્સફર કરવામાં આવે છે જ્યારે 55 ટકા મિલકત સરકારની માલિકીની બની જાય છે.
તેમણે કહ્યું હતું કે આ એક રસપ્રદ કાયદો છે. આ હેઠળ એવી જોગવાઈ છે કે તમે તમારા જીવનમાં ઘણી સંપત્તિ બનાવી છે અને તમારા મૃત્યુ પછી તમારે તમારી સંપત્તિ લોકો માટે છોડી દેવી જોઈએ. આખી મિલકત નહીં પણ અડધી, જે મને યોગ્ય લાગે છે. પરંતુ ભારતમાં એવો કોઈ કાયદો નથી. જો અહીં કોઈની પાસે 10 અબજ રૂપિયાની સંપત્તિ છે. તેના મૃત્યુ પછી તેના બાળકોને તેની બધી મિલકત મળી જાય છે, જનતા માટે કંઈ જ બચ્યું નથી. મને લાગે છે કે લોકોએ આવા મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ. મને ખબર નથી કે આ ચર્ચાનું પરિણામ શું આવશે. અમે નવી નીતિઓ અને નવા કાર્યક્રમો વિશે વાત કરી રહ્યા છીએ, જે માત્ર અમીરોના હિતમાં નહીં પણ લોકોના હિતમાં હોવા જોઈએ. જોકે, પિત્રોડાના આ નિવેદન પર ખૂબ જ વિવાદ થયો હતો.
હિમંતા-કંગના ગુસ્સે થઈ ગયા…
સામ પિત્રોડાના આ નિવેદન બાદ ભાજપે તેમના પર જોરદાર પ્રહારો કર્યા છે. આસામના CM હિમંતા વિશ્વ શર્માએ સામ પિત્રોડાના નિવેદન પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, હું ઉત્તર-પૂર્વનો છું અને હું ભારતીય જેવો દેખાઉં છું. આપણે ભારતીયો જુદા છીએ પણ એક છીએ. હિમંતાએ સેમને દેશ વિશે થોડું સમજવાની સલાહ આપી. સાથે જ ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ પણ પિત્રોડાના નિવેદનને જાતિવાદી ગણાવ્યું છે. આ સિવાય કંગના રનૌતે પણ ગુસ્સામાં કહ્યું કે, પિત્રોડાનું નિવેદન જાતિવાદી અને વિભાજનકારી છે. તેઓ ભારતના લોકોને ચાઈનીઝ અને આફ્રિકન કહી રહ્યા છે. પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસને શરમ આવવી જોઈએ.