નવી દિલ્હી48 મિનિટ પેહલા
- કૉપી લિંક
LG વીકે સક્સેનાએ વર્લ્ડ હિન્દુ ફેડરેશનના રાષ્ટ્રીય મહાસચિવ આશુ મોંગિયાની ફરિયાદના આધારે ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો છે.
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સામે NIA તપાસની ભલામણ કરી છે. તેમણે કહ્યું છે કે કેજરીવાલે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ‘શિખ ફોર જસ્ટિસ’ પાસેથી રાજકીય ફંડિંગ લીધું છે.
LGને વર્લ્ડ હિંદુ ફેડરેશનના રાષ્ટ્રીય મહાસચિવ આશુ મોંગિયા તરફથી ફરિયાદ મળી હતી, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP)એ 2014થી 2022ની વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી જૂથો પાસેથી $16 મિલિયન એટલે કે 133 કરોડ રૂપિયા લીધા હતા. જેથી દેવેન્દ્ર પાલ ભુલ્લરને મુક્ત કરી શકાય. આ ફરિયાદના આધારે LGએ આ ભલામણ કરી છે.
LG ઓફિસ દ્વારા ગૃહ મંત્રાલયને લખેલો પત્ર…
ફરિયાદમાં દાવો- કેજરીવાલે 2014થી 2022ની વચ્ચે ખાલિસ્તાની જૂથો પાસેથી 133 કરોડ રૂપિયા લીધા
આ પત્રમાં લખવામાં આવ્યું છે કે 1 મેના રોજ વર્લ્ડ હિન્દુ ફેડરેશન ઈન્ડિયાના રાષ્ટ્રીય મહાસચિવ આશુ મોંગિયા દ્વારા LGને ફરિયાદ મોકલવામાં આવી હતી. તેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભૂતપૂર્વ AAP કાર્યકર ડૉ. મુનીશ કુમાર રાયઝાદાની કેટલીક પોસ્ટની પ્રિન્ટઆઉટ, એક પત્ર અને પેનડ્રાઈવ પણ હતી.
આશુ મોંગિયાએ તેમની ફરિયાદમાં પેન ડ્રાઈવમાંથી એક વીડિયોનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસના સ્થાપક ગુરપતવંત સિંહ પન્નુએ દાવો કર્યો હતો કે અરવિંદ કેજરીવાલની પાર્ટી AAPને 2014થી 2022 વચ્ચે ખાલિસ્તાની જૂથો પાસેથી 16 મિલિયન ડોલર એટલે કે 133.60 કરોડનું ફંડિંગ મળ્યું હતું.
એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે 2014માં કેજરીવાલ ન્યૂયોર્કના ગુરુદ્વારા રિચમંડ હિલમાં ખાલિસ્તાન તરફી શીખોને મળ્યા હતા. આ બેઠકમાં કેજરીવાલે વચન આપ્યું હતું કે જો AAP ખાલિસ્તાની જૂથો પાસેથી ભંડોળ મેળવતું રહેશે તો તેઓ દેવેન્દ્ર પાલ ભુલ્લરને મુક્ત કરવામાં મદદ કરશે.
ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મુનીશ કુમાર રાયઝાદા, જે 2014માં AAP કાર્યકર હતા, તેમણે ટ્વિટર પર શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં અરવિંદ કેજરીવાલ અને ન્યૂયોર્કના રિચમંડ હિલ ગુરુદ્વારામાં શીખ નેતાઓની મીટિંગના ફોટા શેર કર્યા હતા. મુનીશે પોતાના ટ્વીટમાં એ વાતની પણ પુષ્ટિ કરી હતી કે જાહેર સભાઓ સિવાય કેજરીવાલે આ ગુરુદ્વારામાં ખાલિસ્તાન તરફી શીખ નેતાઓ સાથે ખાનગીમાં મુલાકાત પણ કરી હતી.
આ તસવીર ન્યૂયોર્કના રિચમંડ હિલ ગુરુદ્વારાની છે. જેમાં કેજરીવાલ જોવા મળી રહ્યા છે. મુનીશ કુમાર રાયઝાદાએ 7 ડિસેમ્બર 2014એ આ પોસ્ટ કરી હતી.
કેજરીવાલે રાષ્ટ્રપતિને પત્ર લખીને ભુલ્લરને મુક્ત કરવાની ભલામણ કરી હતી
પત્રમાં એવું પણ લખવામાં આવ્યું છે કે કેજરીવાલે તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને પત્ર લખીને ભુલ્લર માટે દયાની વિનંતી કરી હતી. આ મામલામાં અરવિંદ કેજરીવાલ દ્વારા ઈકબાલ સિંહને લખેલો પત્ર પણ સામેલ છે. 27 જાન્યુઆરી, 2014ના રોજ લખવામાં આવેલા આ પત્રમાં લખવામાં આવ્યું છે કે અમારી સરકાર આ મુદ્દા પ્રત્યે સંવેદનશીલ છે અને અમે પૂરો પ્રયાસ કરીશું કે ન્યાય મળે.
કેજરીવાલે પોતાના પત્રમાં એમ પણ લખ્યું હતું કે દિલ્હી સરકારે પહેલેથી જ પ્રો. ભુલ્લરની મુક્તિ માટેની ભલામણ રાષ્ટ્રપતિને મોકલી દીધી છે, તેની સાથે જ દિલ્હી સરકાર SITની રચના જેવા અન્ય મુદ્દાઓ પર પણ કામ કરવાનું ચાલુ રાખશે.
LGને મળેલી ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે તે સમયના મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈકબાલ સિંહ ભુલ્લરની મુક્તિ માટે દિલ્હીના જંતર-મંતર પર ભૂખ હડતાળ પર હતા. જ્યારે તેમને કેજરીવાલનો પત્ર મળ્યો ત્યારે તેમણે ભૂખ હડતાલ સમાપ્ત કરી દીધી.
દેવેન્દ્ર પાલ સિંહ ભુલ્લર 1993ના દિલ્હી બોમ્બ વિસ્ફોટનો દોષી છે. તે અમૃતસર જેલમાં બંધ છે.
LG ઓફિસની ગૃહ મંત્રાલયને અપીલ- કેજરીવાલ સામેના આરોપોની NIA તપાસ કરાવો
LG ઓફિસે ગૃહ મંત્રાલયને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે તેમના દ્વારા મળેલી ફરિયાદમાં અપીલ કરવામાં આવી છે કે આમ આદમી પાર્ટી વિરુદ્ધના આ આરોપોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે. LG ઓફિસે લખ્યું છે કે આ આરોપો મુખ્યમંત્રી પર લગાવવામાં આવ્યા છે અને ભારતમાં પ્રતિબંધ આતંકવાદી સંગઠન પાસેથી રાજકીય પક્ષને મળતા ફંડ સાથે સંબંધિત છે.
તેથી ફરિયાદીએ આપેલા પુરાવાની ફોરેન્સિક સહિત દરેક રીતે તપાસ થવી જોઈએ. LG ઓફિસે ગૃહ મંત્રાલયને અપીલ કરી છે કે ફરિયાદીએ ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ આરોપો લગાવ્યા છે, તેથી આરોપોની તપાસ NIA દ્વારા કરવામાં આવે.
શીખ ફોર જસ્ટિસ શું છે?
શીખ ફોર જસ્ટિસ એટલે કે SFJ એ શીખો માટે અલગ ખાલિસ્તાનની માગણી કરતું સંગઠન છે. તેની સ્થાપના 2007માં અમેરિકામાં થઈ હતી. ગુરપતવંત સિંહ પન્નુ SFJના સ્થાપકોમાંના એક છે. SFJ તેના અલગતાવાદી અભિયાન ‘જનમત 2020’ હેઠળ પંજાબને ભારતમાંથી મુક્ત કરવાની વાત કરે છે.
SFJ, ઓગસ્ટ 2018માં તેના લંડન ઘોષણામાં, ભારતથી અલગ થવા અને પંજાબને સ્વતંત્ર દેશ તરીકે પુનઃસ્થાપિત કરવાના પ્રશ્ન પર વિશ્વભરના શીખ સમુદાયમાં પ્રથમ જનમત યોજવાની જાહેરાત કરી હતી.
SFJએ નવેમ્બર 2020માં લોકમત માટે મતદાન કરવાની વાત કરી હતી. પંજાબમાં તેમજ ઉત્તર અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, મલેશિયા, ફિલિપાઈન્સ, સિંગાપોર, કેન્યા અને મધ્ય-પૂર્વના દેશોના મોટા શહેરોમાં તેનું આયોજન કરવાની યોજના હતી.
‘રેફરન્ડમ 2020’ નામની વેબસાઇટ બનાવવામાં આવી હતી. તેમાં લખ્યું હતું- એક વખત પંજાબી લોકોમાં ભારતથી આઝાદી અંગે સર્વસંમતિ બની જશે, અમે પંજાબને એક દેશ તરીકે સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો સંપર્ક કરીશું.
પ્રતિબંધ: SFJ પર 2019માં પ્રતિબંધ, 2020માં પન્નુ આતંકવાદી જાહેર
પન્નુ બ્રિટનમાં રહેતા બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના પરમજીત સિંહ પમ્મા, કેનેડામાં રહેતા KTF ચીફ હરદીપ સિંહ નિજ્જર અને ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનના મલકિત સિંહ ફૌજીના સંપર્કમાં હોવાનું માનવામાં આવે છે. 2019માં, કેન્દ્ર સરકારે અલગતાવાદી પ્રવૃત્તિઓ હાથ ધરવાના આરોપસર SFJ પર ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ પ્રતિબંધ મૂક્યો હતો.
ગૃહ મંત્રાલયે તેના નોટિફિકેશનમાં કહ્યું છે કે શીખો માટે જનમતની આડમાં SFJ પંજાબમાં અલગતાવાદ અને ઉગ્રવાદી વિચારધારાને સમર્થન આપી રહી છે. આ ઉપરાંત, તે વિદેશી ધરતી પર સુરક્ષિત ઠેકાણાઓથી કામ કરી રહ્યો છે અને તેને દુશ્મન દેશોનો ટેકો મળી રહ્યો છે.
વર્ષ 2020માં પન્નુ પર અલગતાવાદને પ્રોત્સાહન આપવા અને પંજાબી શીખ યુવાનોને હથિયાર ઉઠાવવા માટે પ્રોત્સાહિત કરવાનો આરોપ લાગ્યો હતો. આ પછી, 1 જુલાઈ, 2020ના રોજ, કેન્દ્ર સરકારે પન્નુને UAPA હેઠળ આતંકવાદી જાહેર કર્યો. 2020માં, સરકારે SFJ સંબંધિત 40થી વધુ વેબપેજ અને YouTube ચેનલો પર પ્રતિબંધ મૂક્યો હતો.