56 મિનિટ પેહલા
- કૉપી લિંક
હિમાચલ પ્રદેશની સુખુ સરકાર ખતરામાં છે ગમે તે ઘડીએ કઇંક નવાજૂની થાય તેવું દેખાઇ રહ્યુ છે. હજુ તો માંડ 14 મહિના પહેલા રાજ્યમાં સરકાર બની છે અને રાજ્યસભાની ચૂંટણીમાં થયેલા ક્રોસ વોટિંગે હિમાચલ કોંગ્રેસમાં બધુ ઠીક નથી તેવું સાબિત કરી દીધુ છે. પરિસ્થિતિ તો હવે એ હદ સુધી વણસી છે કે ગમે ત્યારે ઉત્તર ભારતની એકમાત્ર કોંગ્રેસ સરકાર ગબડી પડે તેમ છે. હાઇકમાન્ડે પણ સ્થિતિની ગંભીરતાને સમજી પોતાના બે મજબૂત રણનીતિકાર હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડા અને કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડી.કે.શિવકુમારને હિમાચલમાં સરકાર બચાવવાની જવાબદારી સોંપી છે. પણ શું તમને ખબર છે કે આ સ્થિતિ અચાનક નથી આવી. નવી સરકાર બની કે તરત જ રાજ્યમાં અસંતોષના કેટલાક અવાજો ઉઠ્યા હતા, પરંતુ CM સુખુ પરિસ્થિતિ સમજી ના શક્યા. આ સ્થિતિ પાછળ કેટલીક અધૂરી મહત્વાકાંક્ષાઓ અને કેટલાક જૂના વિવાદો છે. તો આવો જાણીએ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના આંતરિક વિવાદની ઇનસાઇડ સ્ટોરી…
નવી સરકાર બનાવી ત્યારથી જ અસંતોષના બીજ રોપાયા હતા
હિમાચલ પ્રદેશમાં ચૂંટણી જીત્યા બાદ સરકાર બનાવવાનો વારો આવ્યો ત્યારથી જ અંસતોષના બીજ રોપાયા હતા. પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના અવસાન બાદ જ્યારે કોંગ્રેસ રાજ્યમાં સરકાર બનાવવાની સ્થિતિમાં આવી ત્યારે, આ તક પાર્ટી માટે ઘણી સમસ્યાઓ લઈને આવી હતી.
મુખ્યમંત્રી પદ માટે પ્રતિભા સિંહની દાવેદારી મજબૂત હતી
મુખ્યમંત્રી પદ માટે દાવેદારી માટે ઘણા નામો સામે આવ્યા હતા. એક દાવેદાર સ્વ.વીરભદ્રની પત્ની પ્રતિભા સિંહ હતા. તે રેસમાં આગળ પણ હતા. પ્રતિભા સિંહના ગૃહ જિલ્લા શિમલામાં કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં સારો દેખાવ કર્યો હતો અને 8માંથી 7 બેઠકો જીતી હતી. આ સાથે પ્રતિભાને પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહની નજીકના મોટાભાગના નેતાઓનું સમર્થન હતું. તેથી મુખ્યમંત્રી પદ માટે પ્રતિભા સિંહની દાવેદારી મજબૂત માનવામાં આવી રહી હતી. પ્રતિભાએ ચૂંટણી પછી એમ પણ કહ્યું હતું કે વીરભદ્ર સિંહ અને તેમના પરિવારના વારસાને અવગણી શકાય નહીં.
પ્રતિભા સિંહ મુખ્યમંત્રી ન બની શક્યા
પ્રતિભા સિંહ માટે જે સૌથી મોટો પ્લસ પોઇન્ટ હતો તે જ તેમના મુખ્યમંત્રી બનવાની આડે આવ્યો. પરિવારવાદના આરોપો સહન કરતી કોંગ્રેસે પ્રતિભા સિંહને મુખ્યમંત્રી બનાવ્યા હોત તો પાર્ટી પર ફરી એકવાર પરિવારવાદનો આરોપ લાગત. આ સંજોગોમાં 2013થી 2019 સુધી હિમાચલ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રહેલા 59 વર્ષીય સુખવિંદર સિંહ સુખુએ બાજી મારી લીધી અને તેઓ મુખ્યમંત્રી બન્યા.
વીરભદ્ર પરિવાર અને હાઈકમાન્ડ વચ્ચેના સંબંધમાં ખટાશ
પરંતુ આ ઘટનાથી વીરભદ્ર પરિવાર અને હાઈકમાન્ડ વચ્ચેના સંબંધમાં એક ખટાશ આવી ગઇ. 6 વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા વીરભદ્ર સિંહનો પરિવાર મુખ્યમંત્રી પદ ન મળતા બળવાખોરની મુદ્દામાં આવી ગયો હતો.
વિક્રમાદિત્ય સિંહના પાર્ટી લાઇનથી અલગ નિવેદન
સ્વ. વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહ ઘણા મુદ્દાઓ પર પાર્ટી લાઇનથી અલગ નિવેદન આપતા રહે છે. અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન દરમિયાન તેમણે ખુલ્લેઆમ પાર્ટી લાઇનથી અલગ નિવેદન આપ્યું હતું. ત્યારે વિક્રમાદિત્ય સિંહે ખુલ્લેઆમ કહ્યું હતું કે તે એક કટ્ટર હિંદુ છે અને ‘દેવ સમાજ’માં વિશ્વાસ રાખનારા હિંદુ તરીકે તેમની જવાબદારી છે કે તેઓ આ પ્રસંગે હાજર રહે અને ભગવાન રામની ‘પ્રાણ પ્રતિષ્ઠા’ના સાક્ષી બને. વિક્રમાદિત્ય સિંહે આ નિવેદન ત્યારે આપ્યું હતું જ્યારે કોંગ્રેસે કહ્યું હતું કે તે પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ નહીં લે.
સ્વ. વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહ
સુખુ પોતાના ધારાસભ્યો સાથે સંવાદ અને સંકલન જાળવી શક્યા નહી
સુખુ સરકારના મંત્રી વિક્રમાદિત્ય સિંહે હાઈકમાન્ડને પણ જણાવ્યું હતું કે તેમના પરિવારને સરકારમાં યોગ્ય સન્માન મળતું નથી. આ દરમિયાન સુખવિંદર સિંહ સુખુ રાજ્યમાં સરકાર ચલાવતા રહ્યા. પરંતુ 68 સભ્યોની વિધાનસભામાં 40 બેઠકો મેળવીને સરકાર બનાવનાર સુખુ પોતાના ધારાસભ્યો સાથે સંવાદ અને સંકલન જાળવી શક્યા નથી, આ એ રાજકીય વ્યૂહરચના હતી જેમાં વીરભદ્ર સિંહ નિષ્ણાત હતા. વીરભદ્ર સિંહ પહાડી અને જમીની હિમાચલ પ્રદેશની રાજનીતિને સંતુલિત રાખવામાં માનતા હતા. તેથી તેમને સરકાર ચલાવવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી.
ભાજપે વીરભદ્રના રણનીતિકારને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા
આ દરમિયાન રાજ્યસભાની ચૂંટણીનો સમય આવી ગયો છે. આ દરમિયાન વધુ બે ઘટનાઓ બની. પૂરતી સંખ્યા ન હોવા છતાં, ભાજપે આ રાજ્યસભા ચૂંટણી માટે હર્ષ મહાજનને પોતાના ઉમેદવાર બનાવ્યા. અહીં હર્ષ મહાજનની પૃષ્ઠભૂમિ જાણવી પણ જરૂરી છે. હર્ષ મહાજન કોંગ્રેસના પૂર્વ સીએમ વીરભદ્ર સિંહના રણનીતિકાર હોવાનું કહેવાય છે.
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સુખુ
કોણ છે હર્ષ મહાજન?
હર્ષ મહાજન અગાઉ કોંગ્રેસમાં હતા. 28 સપ્ટેમ્બર 2022ના રોજ, તેમણે કોંગ્રેસને અલવિદા કહ્યું અને ભાજપમાં જોડાયા. તેઓ વીરભદ્ર સિંહના ખૂબ જ નજીકના માનવામાં આવતા હતા. જો કે વીરભદ્ર સિંહ હવે આ દુનિયામાં નથી, હર્ષ હજુ પણ કોંગ્રેસના નેતાઓની નજીક છે. હર્ષ મહાજન ચંબા જિલ્લાના રહેવાસી છે અને કોંગ્રેસ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. તેમના પિતા હિમાચલ વિધાનસભાના સ્પીકર રહી ચૂક્યા છે. વર્ષ 1993માં ચૂંટણી જીતીને તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. નોમિનેશન બાદ હર્ષ મહાજને કહ્યું હતું કે જૂની દોસ્તી કામમાં આવશે.
હર્ષ મહાજન વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા
હર્ષ મહાજન 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ત્યારે તેમનું પગલું ભલે અસરકારક ન રહ્યું હોય, પરંતુ આ વખતે હર્ષ મહાજને ભાજપ હાઈકમાન્ડના સમર્થનથી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના મજબૂત નેતા અભિષેક મનુ સિંઘવીને હરાવી દીધા છે.
સિંઘવી શિમલામાં બહારના વ્યક્તિ બની ગયા
રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસે હિમાચલ પ્રદેશથી અભિષેક મનુ સિંઘવીને મેદાનમાં ઉતાર્યા હતા. સામાન્ય સંજોગોમાં 40 ધારાસભ્યો સાથે સિંઘવીની જીત અંગે કોઈ દ્વિધા નહોતી. પરંતુ અહીં અંદરખાને મોટો ખેલ ચાલી રહ્યો હતો અને સિંઘવી શિમલામાં બહારના વ્યક્તિ બની ગયા. પરિણામ એ આવ્યું કે હિમાચલ પ્રદેશમાં કેટલાક લોકો અભિષેક મનુ સિંઘવીને બહારના વ્યક્તિ કહેવા લાગ્યા અને તેમની દાવેદારીનો આંતરિક રીતે વિરોધ થવા લાગ્યો.
કોંગ્રેસે અભિષેક મનુ સિંઘવીને ઉતાર્યા
વરિષ્ઠ વકીલ અને કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવી હિમાચલ પ્રદેશમાંથી કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર છે. અભિષેક મનુ સિંઘવી મૂળ રાજસ્થાનના જોધપુરના છે. તેમનો જન્મ 1959માં થયો હતો. સિંઘવી લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. હાલમાં તેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. તેઓ રાજ્યસભાના સભ્ય પણ છે. અભિષેક મનુ સિંઘવી દેશના મોટા વકીલોમાં સામેલ છે. તેઓ ભારતના ભૂતપૂર્વ એડિશનલ સોલિસિટર જનરલનું પદ પણ સંભાળી ચૂક્યા છે.
હર્ષ મહાજન અને અભિષેક મનુ સિંઘવી
કોંગ્રેસ વિરુદ્ધ કોંગ્રેસની લડાઈ
સીએમ સુખુ વિરોધને સમજી શક્યા નહીં અને કોંગ્રેસે રાજ્યસભાની સીટ ગુમાવવાનો વારો આવ્યો. ચૂંટણી હાર્યા બાદ સિંઘવીએ પોતે કહ્યું હતું કે એક રીતે આ કોંગ્રેસ વિરુદ્ધ કોંગ્રેસની લડાઈ બની ગઈ છે. કારણ કે ક્રોસ વોટિંગ કરનારા છ ધારાસભ્યોએ તેમની સાથે રાત્રિ ભોજન અને નાસ્તો કર્યો હતો, છતાં તેઓ તેમના ઈરાદાને સમજી શક્યા ન હતા.
ધારાસભ્યો બળવાના સંકેત આપતા હતા
રસપ્રદ વાત એ છે કે 6 ધારાસભ્યો (સુજાનપુર-રાજેન્દ્ર રાણા, ધર્મશાલા-સુધીર શર્મા, લાહૌલ સ્પીતિ-રવિ સિંહ ઠાકુર, હમીરપુર-ઈન્દર દત્ત લખનપાલ, ગાગ્રેટ-ચૈતન્ય ઠાકુર, કુટલાઈહાદ-દેવેન્દ્ર ભુટ્ટો) એ ક્રોસ વોટિંગ કર્યું છે તેમને સ્વર્ગસ્થ વીરભદ્ર સિંહના કેમ્પના માનવામાં આવે છે. રાજ્યના રાજકારણ પર નજર રાખનારા લોકોનું કહેવું છે કે રાજેન્દ્ર રાણા અને સુધીર શર્મા જેવા અસંતુષ્ટ ધારાસભ્યો સાથે વાતચીતના અભાવે આ રમત બની છે. સીએમ સુખુએ અહીં મોટી ભૂલ કરી. મંત્રી ન બની શકવાના કારણે આ નેતાઓ શરૂઆતથી જ નારાજ હતા અને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આવા સંકેતો આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ મુખ્યમંત્રી તેમની સાથે સંવાદ સ્થાપિત કરી શક્યું નથી. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહ પહેલાથી જ અલગ મુદ્રામાં હતા.
CM સુખુ ત્રણ અપક્ષ ધારાસભ્યોને પણ વિશ્વાસમાં લઈ ન શક્યા
એટલું જ નહીં, સીએમ સુખુ તે ત્રણ અપક્ષ ધારાસભ્યોને પણ વિશ્વાસમાં લઈ શક્યા નહોતા જેમણે કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવી વિરુદ્ધ ક્રોસ વોટિંગ કર્યું હતું. આ ધારાસભ્યો શારીરિક રીતે કોંગ્રેસના કેમ્પમાં દેખાતા હતા, પરંતુ મત આપવા માટે તેમની વફાદારી ભાજપના હર્ષ મહાજન સાથે હતી. તેનું જ પરિણામ છે કે આજે સુખુ સરકાર સંક્ટમાં છે.