ગયા વર્ષે રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ્દ કરી દેવાયું હતું અને પાંચ મહિના પછી ફરી પાછું પદ મળી ગયું હતું. એ જ રાહુલ ગાંધી હવે આ વખતે લોકસભામાં વિરોધ પક્ષના નેતા બની ચૂક્યા છે. મજાની વાત એ છે કે, દસ વર્ષથી મોદી સરકારમાં વિપક્ષી નેતાનું પદ ખાલી હતું.
.
નમસ્કાર
સંસદનું સત્ર શરૂ થયું ને લોકસભાના સ્પીકરની નિયુક્તિ થઈ ત્યારે નિયમ એવો છે કે સત્તા પક્ષના નેતા અને વિપક્ષના નેતા સ્પીકરને ખુરશી સુધી મુકવા જાય. આ વખતે ઓમ બિરલાને ખુરશી સુધી મુકવા નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી સાથે ગયા હતા. પહેલીવાર ટીવીની એક ફ્રેમમાં નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી સાથે જોવા મળ્યા. તેમની સાથે સંસદીય કાર્યમંત્રી કિરણ રિજીજૂ પણ હતા. અગાઉ સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી હતા. ખેર, હવે દેશની પોલિસી હોય કે વિદેશની પોલિસી, મોદીજીએ ‘શહઝાદા’ સાથે ચર્ચા કરવી જ પડશે.
54 વર્ષના રાહુલ ગાંધીએ પીઢતા બતાવી
જ્યારે વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીનું નામ જાહેર થયું ત્યારે તેમણે પહેલું કામ એ કર્યું કે લક્ષદ્વીપના કોંગ્રેસના નેતાઓ સાથે મિટિંગ કરી. લક્ષદ્વીપના ટાપુઓની જમીનમાં મોટાપાયે દબાણ થવા લાગ્યું છે તેની ફરિયાદ લઈને લક્ષદ્વીપ કોંગ્રેસના નેતા દિલ્હી પહોંચ્યા હતા. હા, આ નેતાઓએ એવું કહી દીધું કે લક્ષદ્વીપના ટાપુઓમાં સૌથી વધારે દબાણ ગુજરાતી વેપારીઓ કરી રહ્યા છે. આ મિટિંગ પછી તરત રાહુલ ગાંધીએ રાજકોટ ગેમઝોનના પીડિતો સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી હતી. રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારથી લઈ સંસદમાં શપથ લેવા સુધી જીન્સ-ટીશર્ટ પહેર્યા હોય પણ સંસદની કાર્યવાહીના દિવસે કુર્તા-પાયજામામાં જોવા મળ્યા હતા. 54 વર્ષના રાહુલ ગાંધી વિપક્ષના નેતા તરીકે ધીમે ધીમે પીઢતા બતાવી રહ્યા છે. વિરોધ પક્ષના નેતા તરીકે સ્વાગત પ્રવચનમાં લોકસભા સ્પીકરને પણ કહી દીધું કે, તમારે વિપક્ષનો અવાજ પણ સાંભળવો પડશે.
રાહુલ ગાંધી વિપક્ષી નેતા બનવા તૈયાર નહોતા
4 જૂને લોકસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયાના ચાર દિવસ બાદ 8મી જૂને કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધીને વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવે. ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રાની રચના અને નેતૃત્વ કર્યું હતું. આ બંને મુલાકાતો દેશના રાજકારણમાં ઐતિહાસિક વળાંક હતી. આનાથી કોંગ્રેસના લાખો કાર્યકરો અને કરોડો મતદારોમાં આશા અને વિશ્વાસ પેદા થયો. રાહુલ ગાંધીએ શરૂઆતમાં આ પદ લેવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધીની સમજાવટ પર તેઓ વિપક્ષના નેતા બનવા માટે રાજી થયા હતા.
મોદીએ દરેક મહત્વના નિર્ણયોની ચર્ચા રાહુલ ગાંધી સાથે કરવી પડશે, આ છે વિપક્ષી નેતા માટેના નિયમો
સંવિધાનમાં નિયમ છે કે, સત્તા પક્ષે અગત્યની નિમણૂક વખતે કે પછી કોઈ અગત્યના નિર્ણયો વખતે લોકસભાના વિપક્ષી નેતાને સાથે રાખવા પડશે અને તેની સાથે ચર્ચા કરવી પડશે. જેમ કે ઈડી, સીબીઆઈ કે ઈસીમાં ઉચ્ચ અધિકારીની નિમણૂક હોય કે નોટબંધી જેવું પગલું લેવું હોય તો પણ વિપક્ષી નેતા સાથે ચર્ચા કરીને જ પગલાં લઈ શકાશે. પ્રેક્ટિસ એન્ડ પ્રોસિજર ઓફ પાર્લામેન્ટ નામનું પુસ્તક છે તેમાં પ્રસ્તાવના ડો. મનમોહનસિંઘે લખી છે અને પીડીટી આચાર્ય તેના સંપાદક છે. લેખન કાર્ય એમ એન કૌલ અને એસ એન સદ્ધરે કર્યું છે. તેમાં સંસદીય વ્યવસ્થા વિશે ઘણી માહિતી છે. તેમાં પેઈજ નંબર 148થી 150 વચ્ચે વિપક્ષી નેતાના પાવર વિશે લખવામાં આવ્યું છે. તેમાં લખ્યું છે કે, વિપક્ષી નેતા પાસેથી આશા રખાય છે કે તે રાષ્ટ્રીય મહત્વના મુદ્દા પર વિચારીને બોલશે. શબ્દોને તોળી તોળીને બોલશે. તે સદનમાં ટીકા તો કરી શકે છે પણ સદનની બહાર પણ સત્તા પક્ષની ટીકા કરી શકે છે. પણ વિદેશ જાય ત્યારે તેમણે સત્તા પક્ષની ટીકા કરવામાં નિયંત્રણ રાખવું પડશે. પુસ્તકમાં એક વાક્ય એવું પણ લખ્યું છે કે, જો વિપક્ષના નેતા વડાપ્રધાનને કામ કરવા દેશે તો વડાપ્રધાન પણ તેને વિરોધ કરવાની છૂટ આપશે.
કેબિનેટ મંત્રી કક્ષાનું હોય છે વિપક્ષી નેતાનું પદ
વિપક્ષી નેતાનું પદ કેબિનેટ મંત્રી કક્ષાનું હોય છે. સંસદમાં તેમનો અલગ રૂમ હોય છે. કામકાજ માટે તેમને અલાયદો સ્ટાફ મળે છે. સરકારી બંગલો, મેડીકલ સુવિધા, ટ્રાવેલ એલાઉન્સ બધું જ મળે છે. તેનો પગાર કેબિનેટ મંત્રી કક્ષાનો હોય છે. લોકસભામાં તેની સીટ ડેપ્યુટી સ્પીકરની બાજુમાં હોય છે અને રાષ્ટ્રપતિના અભિભાષણમાં તેમને આગલી સીટમાં બેસાડવામાં આવે છે. 1977માં જનતા પાર્ટીની સરકારે પહેલીવાર સેલેરી એન્ડ એલાઉન્સ ઓફ લિડર્સ ઓફ ઓપોઝીશન પાસ કર્યું. તેમાં જ વિપક્ષી નેતાની વ્યાખ્યા પહેલીવાર કરવામાં આવી અને તેમને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો.
ભારતના સંસદીય ઈતિહાસમાં પહેલા વિપક્ષી નેતા કોણ હતા?
ભારતીય સંસદના ઈતિહાસમાં પહેલા વિપક્ષી નેતા રામ સુભગ સિંહ હતા. જે બિહારના બક્સરના સાંસદ હતા. નવેમ્બર 1969માં કોંગ્રેસનું વિભાજન થયું ત્યારે તે કોંગ્રેસ (ઓ)નો ભાગ બન્યા. કોંગ્રેસ પાર્ટીના 60 સભ્યોને વિપક્ષી દળની માન્યતા મળી ને રામ સુભગ સિંહ વિપક્ષી નેતા બન્યા. જ્યારે 1977માં કોંગ્રેસની હાર થઈ અને સંસદમાં પહેલીવાર કોંગ્રેસ બીજી મોટી પાર્ટી બની ત્યારે વિપક્ષી નેતા હતા યશવંતરાવ ચવ્હાણ.
રાહુલ ગાંધીએ વિપક્ષી નેતા તરીકે મજબૂત બનવું પડશે
રાહુલ પર હવે સૌ કોઈની નજર રહેશે કે તે ક્યા મુદ્દે બોલે છે અને ક્યા મુદ્દે નથી બોલતા. રાહુલની જવાબદારીઓનું સ્કેનિંગ તમામ પ્રકારના લોકો કરશે. તેમણે કુશળ સાંસદ બનવું પડશે. સજાગ રહેવું પડશે અને સમજથી સરકારને મ્હાત આપવી પડશે.
ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં રાહુલની ભૂમિકા
ઝારખંડ, જમ્મુ અને કાશ્મીર, હરિયાણા અને મહારાષ્ટ્રમાં 2024ની વિધાનસભા ચૂંટણી આવી રહી છે. તેમાં રાહુલ ગાંધી, કોંગ્રેસ અને ઈન્ડિયા બ્લોક લિટમસ ટેસ્ટનો સામનો કરશે. જો NDA ચારમાંથી ત્રણ ચૂંટણી હારી જાય છે, તો ભારત બ્લોક મજબૂત બની શકે છે. તેથી તમામની નજર રાહુલ અને તેના રોડમેપ પર છે.
બ્રિટનમાં શેડો કેબિનેટની પ્રથા છે
બ્રિટનમાં વિપક્ષી નેતા શેડો પીએમ કહેવાય છે તેમ તેના સદસ્યો પણ શેડો કેબિનેટથી ઓળખાય છે. આ પ્રથાને ડ્યુઅલ પાર્ટી સિસ્ટમ કહે છે. વિપક્ષના નેતાઓને વિરોઘ પક્ષના નેતા ઉપરાંત શેડો કેબિનેટના વડા પણ કહેવામાં આવે છે. વિરોધ પક્ષના નેતા બીજા નંબરની સૌથી વઝુ બેઠકો મેળવનાર પક્ષનો નેતા બને છે. યુકેમાં સરકાર સાથે વિપક્ષ પોતાની શેડો કેબિનેટ બનાવે છે. બ્રિટનમાં માત્ર બે રાજકીય પક્ષો છે. આ કારણથી ત્યાં હંમેશાં વિપક્ષની શેડો કેબિનેટ બને છે.
ભારતના આ રાજ્યોમાં શેડો કેબિનેટ બની ચૂકી છે
2005: મહારાષ્ટ્રમાં મુખ્ય વિપક્ષી પક્ષો ભાજપ અને શિવસેનાએ કોંગ્રેસ-એનસીપી ગઠબંધન સરકાર વિરુદ્ધ.
2014: કોંગ્રેસે મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર વિરુદ્ધ રાજ્યમાં શેડો કેબિનેટની રચના કરી.
2015: ગોવા સ્થિત એનજીઓ, જેન-નેક્સટે સરકારના કામ પર નજર રાખવા માટે શેડો ગવર્નમેન્ટ બનાવી હતી.
2018: એપ્રિલ 2018માં કેરળના સિવિલ સોસાયટીના સભ્યોએ પિનરઈ વિજયનની LDF સરકાર પર નજર રાખવા માટે શેડો કેબિનેટ બનાવી.
છેલ્લે,
જ્યારે લાલકૃષ્ણ અડવાણી વિપક્ષના નેતા બન્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, સંસદમાં વિપક્ષના નેતાને શેડો પ્રધાનમંત્રી માનવામાં આવે છે.
સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિસર્ચ: યશપાલ બક્ષી)