1 કલાક પેહલા
- કૉપી લિંક
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ભૂસ્ખલન અને પૂરના કારણે 5 લોકોના મોત થયા છે. રવિવાર રાતથી અહીં વરસાદ પડી રહ્યો છે. રાજ્યના પહાડોમાં પણ હિમવર્ષા ચાલુ છે. ઘણા મકાનોને નુકસાન થયું છે અને સેંકડો રહેવાસીઓ અસરગ્રસ્ત થયા છે.
જમ્મુના ડોડા, રિયાસી, કિશ્તવાડ, રામબન અને કાશ્મીરના કિશ્તવાડ સહિતના પર્વતીય જિલ્લાઓમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન થયું છે. ગઈકાલે રામબન જિલ્લામાં અનેક સ્થળોએ ભૂસ્ખલન થતાં શ્રીનગર-જમ્મુ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો.
સોમવારે અચાનક આવેલા પૂરને કારણે નદી કિનારે બનેલા મકાનનો એક ભાગ ધોવાઈ ગયો છે.
પૂરને કારણે કુપવાડા જિલ્લામાં શુમરિયાલ બ્રિજ, ખુમરિયાલ બ્રિજ, શતમુકમ બ્રિજ, સોહિપોરા-હૈહામા બ્રિજ, ફરક્યાન બ્રિજ, ગ્રામીણ વિકાસ વિભાગની બે ઇમારતો અને સહાયક નિયામક હસ્તકલા કાર્યાલયની ઇમારતને નુકસાન થયું છે. શુમર્યાલ-ગુંડાઝાંગરમાં રોડ-રસ્તા તુટી ગયા છે. ડોબન કછામા ડેમમાં તિરાડ પડી છે.
કુપવાડામાં હવે સ્થિતિમાં સુધારો થવા લાગ્યો છે. જળસ્તર ઘટી રહ્યું છે અને લોકો તેમના જર્જરિત ઘરોમાં પરત ફરી રહ્યા છે. ગઈકાલે આવેલા અચાનક પૂરના કારણે રોડનો એક ભાગ ધોવાઈ ગયો હતો અને અનેક ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા.
જમ્મુ અને કાશ્મીર પ્રશાસને કહ્યું કે રાહત ટીમના સમયસર આવી જવાથી પૂર પ્રભાવિત વિસ્તારોમાં લોકોના જીવ બચી ગયા. હંદવાડાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અઝીઝ અહેમદે કહ્યું કે, અમે નુકસાનની માહીતી મેળવી રહ્યા છીએ. અમારી પ્રાથમિકતા લોકોના જીવ બચાવવાની છે.
કિશ્તવાડ સહિત કાશ્મીરના ઘણા પહાડી જિલ્લાઓમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓ બની છે.
સ્થાનિક લોકોએ કહ્યું કે પૂરમાં અમારે બધું જ ગુમાવ્યું છે, સતત વરસાદને કારણે શ્રીનગર-જમ્મુ હાઈવેના કેટલાક ભાગો પાણીમાં ડૂબી ગયા છે. શ્રીનગર શહેર અને કાશ્મીર ખીણના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી ઘણા વિસ્તારો પ્રભાવિત થયા હતા.
રવિવાર (28 એપ્રિલ)થી જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં વધુ વરસાદની આગાહી કરી છે. છેલ્લા ત્રણ દિવસથી સતત ભારે વરસાદને કારણે કાશ્મીરમાં રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
ઊંચા વિસ્તારોમાં હિમવર્ષાના કારણે તાપમાનમાં 5 થી 10 ડિગ્રીનો ઘટાડો થયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, છેલ્લા 5 દિવસમાં સૌથી વધુ 156.4 mm વરસાદ ખરમીરના બનિહાલમાં, 137.8 mm કાઝીગુંડમાં, 133.5 mm પહેલગામમાં અને 98.5 mm શ્રીનગરમાં નોંધાયો છે.
હવામાન વિભાગની હાલની આગાહી મુજબ, આગામી 24 કલાકમાં વરસાદી ઝાપટા પડશે. જો કે, આ પછી હવામાન સાફ થવાની ધારણા છે. 1લીથી 5મી મે દરમિયાન હવામાન ચોખ્ખું રહેશે, પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદ અને કરા પડી શકે છે. તે જ સમયે, 6 અને 7 મેના રોજ કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે.
ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને, હવામાન કેન્દ્ર શ્રીનગરે ખેડૂતોને 1 મે સુધી ખેતી સંબંધિત કામ ન કરવાની સલાહ આપી છે.
પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ચેતવણી પણ જાહેરકરવામાં આવી છે. હિમવર્ષાના કારણે પર્વતીય વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી વાહનવ્યવહાર અસર થઈ શકે છે. કાશ્મીરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે અને મુગલ રોડ સહિતના મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર બંધ છે. વરસાદના કારણે મોટાભાગની નદીઓ ભયજનક નિશાનની આસપાસ વહી રહી છે. લોકોને નદીઓથી દૂર રહેવાની પણ સલાહ આપવામાં આવી છે.