24 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિડ-19 વેક્સિનના સર્ટિફિકેટમાં મોટા ફેરફારો કર્યા છે. સરકારે કોવિન સર્ટિફિકેટમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો હટાવી દીધો છે. આ પહેલા તેમની તસવીરને ખાસ જગ્યા આપવામાં આવી હતી અને લખવામાં આવ્યું હતું – ‘સાથે મળીને ભારત કોરોનાને હરાવી દેશે.’ કેટલાક લોકોનો દાવો છે કે વેક્સિન બનાવતી કંપની એસ્ટ્રાઝેનેકાએ યુકેની કોર્ટમાં તેની આડ અસરોનો સ્વીકાર કર્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.
કોવિશિલ્ડ વેક્સિનની આડ અસર તરીકે થ્રોમ્બોસિસ સાથે થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS) નોંધાયા પછી લોકો CoWin એપ્લિકેશન પર તેમના વેક્સિનેશનની માહિતી તપાસી રહ્યા છે. આ દરમિયાન તેમને ત્યાં પીએમ મોદીની તસવીર જોવા મળી ન હતી. અંગ્રેજી અખબાર ‘ધ હિન્દુ’એ પોતાના એક રિપોર્ટમાં આ વાત કહી છે.
માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર લોકો આ વિશે વિવિધ બાબતોની ચર્ચા કરી રહ્યા છે. ભાવિકા કપૂરે કહ્યું, “શું તમે વેક્સિન સર્ટિફિકેટ જોયું? મોદીજીનો ફોટો ગાયબ છે.” પોતાને કોંગ્રેસના અધિકારી ગણાવતા ઈરફાન અલીએ લખ્યું, “હા, મેં હમણાં જ તપાસ કરી અને PM મોદીનો ફોટો ગાયબ થઈ ગયો. તેમના ફોટાને બદલે માત્ર QR કોડ છે.
આ મામલે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે. વિભાગના અધિકારીઓએ મંગળવારે ThePrintને જણાવ્યું હતું કે ચાલી રહેલી લોકસભા ચૂંટણી માટે જારી કરાયેલ આદર્શ આચારસંહિતાના અમલને કારણે વેક્સિનના સર્ટિફિકેટમાંથી વડાપ્રધાન મોદીનો ફોટો હટાવી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ પહેલીવાર નથી કે જ્યારે કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટમાંથી પીએમ મોદીનો ફોટો હટાવવામાં આવ્યો હોય.
આ પહેલા વર્ષ 2022માં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ તેમની તસવીર હટાવી દેવામાં આવી હતી. ચૂંટણી પંચના આદેશ પર આ પગલું લેવામાં આવ્યું છે.
2021માં વેક્સિન સર્ટિફિકેટ પર પીએમ મોદીનો ફોટો છાપવાને લઈને વિવાદ થયો હતો. આ મામલો કેરળ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. તેના વિરોધમાં કહેવામાં આવ્યું હતું કે પીએમનો ફોટો અન્ય દેશોમાં છપાયો નથી. તેના જવાબમાં જસ્ટિસ પીવી કુન્હિક્રિષ્નને કહ્યું હતું કે, “તેઓ આપણા વડાપ્રધાન પર ગર્વ ન કરી શકે, આપણે આપણા વડાપ્રધાન પર ગર્વ કરી શકીએ.”
ગુજરાત કોંગ્રેસે વળતરની માગ કરી હતી
કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે કેન્દ્રની ભાજપ સરકારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની ગાઈડલાઈનનું પાલન કર્યું નથી. કોંગ્રેસે માગણી કરી છે કે કોવિશિલ્ડ વેક્સિન લીધા બાદ જે લોકો હાર્ટ એટેકનો ભોગ બન્યા હોય અથવા અન્ય કોઈ કારણોસર મૃત્યુ પામ્યા હોય તેમના પરિવારજનોએ તેનું પરીક્ષણ કરાવવું જોઈએ. તેમને વળતર મળવું જોઈએ.
કોરોનાની કોવિશિલ્ડ વેક્સિનથી હાર્ટ-એટેકનું જોખમ, કંપનીએ સ્વીકાર્યું
એસ્ટ્રાઝેનેકા કંપનીની વેક્સિન ભારતમાં કોવિશિલ્ડના નામે ઓળખાય છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટે એસ્ટ્રાઝેનેકાની ફોર્મ્યુલાથી જ કોવિશીલ્ડ બનાવી હતી. આ વેક્સિન ઓક્સફર્ડ યુનિવર્સિટીની સાથે મળીને બનાવાઈ છે. (ફાઈલ)
કોરોનાની દવાઓ બનાવતી બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ પહેલીવાર સ્વીકાર્યું છે કે તેની કોવિડ-19 વેક્સિન ગંભીર સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. એસ્ટ્રાઝેનેકાએ UK હાઈકોર્ટમાં સ્વીકાર્યું છે કે કોવિડ -19 વેક્સિનના કારણે થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ (TTS) જેવી સાઈડ ઈફેક્ટ થઈ શકે છે.
થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમને કારણે, શરીરમાં લોહી ગંઠાવા (Blood Clot) લાગે છે અથવા શરીરમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગે છે. શરીરમાં લોહી ગંઠાઈ જવાના કારણે બ્રેઈન સ્ટ્રોક અથવા હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.
બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું છે કે તેની કોવિડ-19 વેક્સિનની ખતરનાક સાઈડ ઈફેક્ટ્સ થઈ શકે છે. બ્રિટિશ મીડિયા ટેલિગ્રાફના અહેવાલ મુજબ, એસ્ટ્રાઝેનેકા પર તેની વેક્સિનના કારણે ઘણા લોકોના મોતના આરોપ છે. બીજા ઘણાને ગંભીર બીમારીઓનો સામનો કરવો પડ્યો છે.
એસ્ટ્રાઝેનેકા વેક્સિન ભારતમાં કોવિશિલ્ડના નામે તરીકે ઓળખાય છે. આ પછી, હાઈકોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજોમાં, કંપનીએ સ્વીકાર્યું કે તેમની કોરોના વેક્સિન થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ એટલે કે TTSનું કારણ બની શકે છે.
આ રોગને કારણે શરીરમાં લોહી ગંઠાઇ જાય છે અને પ્લેટલેટ્સની સંખ્યા ઘટી જાય છે, જેના કારણે હાર્ટ-એટેક અને સ્ટ્રોકનો ખતરો પણ રહે છે. બ્રિટનમાં કંપની સામે 51 કેસ હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યા છે. પીડિતોએ એસ્ટ્રાઝેનેકા પાસેથી લગભગ 1 હજાર કરોડ રૂપિયાના વળતરની માગ કરી છે.
10 લાખે કોઈ એકને કોરોના વેક્સિનથી જીવલેણ જોખમ:નિષ્ણાતોએ કહ્યું- ગભરાશો નહીં
યુનાઇટેડ કિંગડમની ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ પ્રથમ વખત કોર્ટમાં સ્વીકાર્યું છે કે તેની કોવિડ -19 વેક્સિનની ખતરનાક આડઅસર થઈ શકે છે. જો કે, આ ખૂબ જ દુર્લભ કિસ્સાઓમાં જ થશે.
બ્રિટિશ હાઈકોર્ટમાં સબમિટ કરાયેલા દસ્તાવેજોમાં કંપનીએ કહ્યું છે કે તેની કોરોના વેક્સિન કેટલાક કિસ્સામાં થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ એટલે કે TTSનું કારણ બની શકે છે. આ રોગને કારણે શરીરમાં લોહી ગંઠાઇ જાય છે અને પ્લેટલેટ્સની સંખ્યા ઘટી જાય છે.
યુકેની ફાર્મા કંપનીની આ વેક્સિનના ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને, પુણેની સીરમ ઇન્સ્ટિટ્યુટે ભારતમાં ‘કોવિશિલ્ડ’ વેક્સિનનું ઉત્પાદન કર્યું હતું. ભારતમાં અત્યાર સુધીમાં કોવિશિલ્ડના 175 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર…