1 કલાક પેહલા
- કૉપી લિંક
જન્મકુંડળીમાં જાતકને રાજા જેવું માન સન્માન બક્ષનારા અનેકોનેક યોગ સર્જાતા હોય છે. જેમ કે ગજકેસરી યોગ કે જે ગુરુ અને ચંદ્રની યુતિના કારણે સર્જાય છે. લક્ષ્મીયોગ કે જે મંગળ અને ચંદ્રના જોડાણથી સર્જાય છે. પંચ મહાપુરુષ પૈકીના યોગ જેવા કે રૂચક યોગ. આ યોગમાં મંગળ કેન્દ્ર, મુળ ત્રિકોણમાં પોતાની ઉચ્ચ કે સ્વગૃહી રાશિમાં બિરાજમાન થાય છે. સ્વગૃહી કે ઉચ્ચનો બુધ જયારે મુળ ત્રિકોણ કે કેન્દ્રમાં બેસે ત્યારે ભદ્ર યોગ થાય, ગુરુ કેન્દ્ર કે મુળ ત્રિકોણમાં ઉચ્ચનો કે સ્વગૃહી બની બિરાજમાન થાય ત્યારે હંસ યોગ થાય. શુક્ર જયારે કેન્દ્ર કે મુળ ત્રિકોણમાં ઉચ્ચનો કે સ્વગૃહી બની સ્થિત થાય ત્યારે પંચ મહાપુરુષ પૈકીનો માલવ્ય યોગ સર્જાય છે. શનિ જયારે કેન્દ્ર કે મુળ ત્રિકોણમાં સ્વગૃહી કે ઉચ્ચનો બની બિરાજમાન થાય ત્યારે શશક યોગનું સર્જન થાય છે. અહી જણાવેલા તમામે-તમામ યોગ જન્મકુંડળીને સબળ બનાવે છે અને જાતકને તન મન ધનથી સુખી બનાવે છે.
રાજા અને રાજાશાહીના દિવસો હવે એક સ્વપ્ન બની ગયા. હવે આવી લોકશાહી. લોકો વડે, લોકો થકી અને લોકો માટે ચાલતા સામ્રાજ્યમાં રાજાઓનો રાજયોગ શોધવો અતિ મુશ્કેલ અને કઠિન બને છે. હિન્દુ જ્યોતિષશાસ્ત્રમાં 100થી વધુ પ્રકારના રાજયોગનો સમાવેશ થયેલો છે. પ્રસિદ્ધ જ્યોતિષી બી.વી.રામને પોતાના પુસ્તક “થ્રી હન્ડ્રેડ ઈમ્પોર્ટન્ટ કોમ્બીનેશન”માં300થી વધુ રાજયોગ દર્શાવ્યા છે. પરંતુ જે યોગ રાજના રાજા ના બનાવે તેવો યોગ શરીરના રોગ જેવી પીડા આપે. જ્યાં સુધી જ્યોતિષના ચોક્કસ સિદ્ધાંતો, અવલોકનો અને અનુમાનો સંકળાયેલા છે ત્યાં સુધી જ્યોતિષ વિજ્ઞાનમાં ત્રણ વિશિષ્ટ રાજયોગને વધુ મહત્વ આપવામાં આવે છે.
પારાશરી રાજયોગનો વિચાર કરીએ તો આ યોગમાં કેન્દ્ર-ત્રિકોણ સ્થાનના અધિપતિઓ કેન્દ્ર-ત્રિકોણમાં જ બિરાજમાન હોય તો તેને (પોઝિટિવ) સંપૂર્ણ પારાશરી રાજયોગ થયો કહેવાય.
બીજો રાજયોગ અશુભ ગ્રહોના પરસ્પર સંબંધોને કારણે થાય છે. જ્યારે છઠ્ઠા, આઠમા, બારમાં સ્થાનના અધિપતિ છ અગર આઠ કે બારમાં સ્થાનમાં જ બેઠા હોય ત્યારે તેને જ્યોતિષશાસ્ત્રમાં વિપરીત રાજયોગ કહેવાય છે.
આજે આ લેખમાં ત્રીજો અને અતિ મહત્ત્વનો રાજયોગ ચર્ચીએ. જેને જ્યોતિષશાસ્ત્રમાં “નીચભંગ રાજયોગ” તરીકે ઓળખવામાં આવે છે.
જગતમાં નાની વસ્તુઓ ક્યારેક મોટી કમાલ કરે ત્યારે આશ્ચર્ય થાય છે એવી જ રીતે જ્યોતિષશાસ્ત્રમાં નીચના દેખાતા ગ્રહો ક્યારેક પોતાનો અદભુત પ્રભાવ છોડે છે. પ્રથમ દ્રષ્ટિએ ગ્રહ નીચ રાશિમાં જણાતો હોય, પરંતુ તે ગ્રહનું આધિપત્ય સમગ્ર કુંડળી પર અને કુંડળીની વ્યક્તિ પર હોય છે. નીચભંગ રાજયોગનો ઉલ્લેખ “બૃહદ પારાશર હોરા” નામના પુસ્તકમાં પણ નથી પરંતુ આ યોગનું એટલું બધુ મહત્ત્વ છે કે ભારતીય જ્યોતિષના ધુરંધરોએ તેને જુદા જુદા પુસ્તકોમાં પોતાના અંગત મત દર્શાવી પ્રાધાન્ય આપવું પડ્યું છે. “જાતક ભ્રમણ” નામના પુસ્તકમાં તેના લેખક ધૂન્ડીરાજ નીચભંગ રાજયોગ વિષે નીચે પ્રમાણે જણાવે છે.
યેસ્વેચરો નિચગ્રહં પ્રયાતસ્તદીશ્વરશ્ચાવી તદુચ્ચનાથ: |
કેન્દ્રાસ્થિતો તૌ ભવત: પ્રસૂતૌ પ્રકીર્તિતૌ ભૂપતિ સંભવાય ||
ધૂન્ડીરાજના મત પ્રમાણે જે ગ્રહ નીચ રાશિમાં હોય તે રાશિનો અધિપતિ ગ્રહ કેન્દ્ર અગર ત્રિકોણમાં હોય તો તેને તેઓ નીચભંગ રાજયોગ કહે છે. તેઓએ આવો યોગ જન્મલગ્ન અગર ચંદ્ર લગ્નથી થાય તે અંગેનું સ્પષ્ટીકરણ આપ્યું નથી.
જાતક પારિજાતમાં વૈદ્યનાથ અને ફળ દીપિકામાં મંત્રેશ્વરે નીચભંગ રાજયોગ બાબતે વધુ સારી સ્પષ્ટતા કરી છે જે નીચે પ્રમાણે છે. નીચે જણાવેલા શ્લોક અનુસાર તેઓ જન્મ લગ્ન અને ચંદ્ર લગ્ન એમ બંને રીતે નીચભંગ રાજયોગ થાય તેમ જણાવે છે.
નીચમગતો જન્મનિયોગ્રહ:
સ્થાનદ્રાશિનથોપિ તદુચ્ચનાથ
સ ચંદ્ર લગ્નાદ્યાદિ કેન્દ્રવર્તી
રાજા ભવેદ્રાર્ભિકચક્રવર્તી ||
(જાતક પારિજાત રાજયોગ શ્લોક ૧૮)
નીચસ્થિતો જન્મનિયો ગ્રહ:
સ્થાનદ્રાશિનયોધિ તદુચ્ચનાથ
સ ચંદ્ર લગ્નાધ્યાદિ કેન્દ્રવર્તી
સજા ભવેદ્રાર્ભિકચક્રવર્તી ||
(ફળદીપિકા રાજયોગ પ્રકરણ -૭ )
‘જાતક દેશ માર્ગ’ પુસ્તકમાં સોમજય પણ વૈદ્યનાથ અને મન્ત્રેશ્વરની વાતને અનુમોદન આપે છે. ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં જેમનું પ્રદાન અનોખું છે તેવા વિદ્વાન જ્યોતિષી બી. વી. રામને તેમના પુસ્તક ‘થ્રી હઁડ્રેડ ઇમ્પોર્ટન્ટ કોમ્બિનેશન’ પાનાં નં. 282-283માં નીચભંગ રાજયોગ વિષે સરસ સમજાવ્યું છે. તેમણે સરળ ભાષામાં ઉદાહરણ સતહ સમજાવ્યું છે.
રામન કહે છે : ગ્રહ જે રાશિમાં નીચનો બનીને બેઠો હોય તે રાશિનો અધિપતિ ઉચ્ચ રાશિમાં બેઠો હોય તેવા યોગને નીચભંગ રાજયોગ થયો કહેવાય. ઉદાહરણ તરીકે તેઓ સમજાવે છે કે એક જન્મકુંડળીમાં મંગળ જો કર્ક રાશિમાં બેઠો હોય તો મંગળ નીચ રાશિમાં બેઠેલો ગણાય. પરંતુ તે જ જન્મકુંડળીમાં જો ચંદ્ર વૃષભ રાશિમાં બેઠો હોય તો તે નીચભંગ રાજયોગ થયો કહેવાય. કારણકે મંગળ જે રાશિમાં નીચમાં બેઠો છે તે રાશિનો માલિક ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિ વૃષભમાં બેઠો છે. તેથી મંગળનું નીચત્વ નકામું થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં મંગળ જન્મકુંડળીમાં વધુ સારી કામગીરી બજાવે છે અને જાતકને રાજા સમાન વ્યક્તિ બનાવે છે. કારણકે મંગળનું નીચત્વ તે રાશિનો અધિપતિ ચંદ્ર ઉચ્ચ રાશિમાં બેસી ખલાસ કરી નાખે છે.
હવે નીચભંગ રાજયોગની કેટલીક કુંડળીઓનું નિરીક્ષણ કરીએ. ભારતની આઝાદી માટે જેમણે પોતાનું લોહી રેડ્યું તેવા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મકુંડળીમાં સાતમે નીચ રાશિમાં સૂર્ય છે પરંતુ સૂર્ય જે રાશિમાં બેઠો છે તેનો અધિપતિ શુક્ર લગ્નથી કેન્દ્રમાં સાતમે સ્વગૃહી છે.
ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મકુંડળીમાં લગ્નસ્થાને કન્યા રાશિમાં (નીચ રાશિ)શુક્ર બિરાજમાન છે. પરંતુ કન્યા રાશિનો અધિપતિ બુધ લગ્નસ્થાને કન્યા રાશિમાં ઉચ્ચત્વ પ્રાપ્ત કરે છે. આ નીચભંગ રાજયોગના કારણે તેઓ દેશના સર્વોચ્ચ પદે પહોચી શક્યા.
ભગવાન શ્રીકૃષ્ણની જન્મકુંડળી નીચભંગ રાજયોગનું બેસ્ટ ઉદાહરણ છે. તેમની વૃષભ લગ્નની કુંડળીમાં ત્રીજે નીચ રાશિમાં કર્કનો મંગળ બિરાજમાન છે. પરંતુ કર્ક રાશિનો સ્વામી ચંદ્ર લગ્ને પોતાની ઉચ્ચ રાશિ વૃષભમાં સ્થિત છે. આ નીચભંગ રાજયોગે વાસુદેવ પુત્ર શ્રી કૃષ્ણને ભગવાન બનાવ્યા.
આમ જન્મકુંડળીમાં પ્રથમ દ્રષ્ટિએ નીચ રાશિમાં દેખાતો ગ્રહ ક્યારેક આડકતરી રીતે કમાલનું કામ કરે છે અને નીચભંગ રાજયોગ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. નીચભંગ રાજયોગ જાતકના બાળપણને કસોટી,પીડા અને દુઃખમાં પસાર કરાવે છે પણ અંતે જીવનની ઉત્તરાર્ધ અવસ્થામાં જગતગુરુ બનાવે છે તે વાત એક જ્યોતિષીક હકીકત છે.