સ્પોર્ટ્સ ડેસ્ક8 કલાક પેહલા
- કૉપી લિંક
BCCIએ કેએલ રાહુલને ત્રીજી ટેસ્ટમાંથી બાકાત રાખવા પર સવાલ ઉઠાવ્યા હતા. બોર્ડના અધિકારીએ કહ્યું કે જો રાહુલ ફિટ નથી તો તે શા માટે તેની બેટિંગનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી રહ્યો છે. આમ કરીને તે બોર્ડને ખોટા સંકેતો મોકલી રહ્યો છે.
ટીમ ઈન્ડિયાનો બેટર રાહુલ ઈજાના કારણે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો. તેને છેલ્લી 3 ટેસ્ટ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ સોમવારે જ BCCIએ કહ્યું કે રાહુલ ફિટ નથી અને તે ત્રીજી ટેસ્ટ રમી શકશે નહીં.
મેડિકલ ટીમે પણ રાહુલને સંભાળવામાં ભૂલ કરી
BCCIના અધિકારીએ PTIને કહ્યું, ‘જો BCCIની મેડિકલ ટીમને ખબર હતી કે રાહુલની ઈજા ગંભીર છે તો તેઓએ રાહુલને ટીમમાં શા માટે સામેલ કરવાની મંજૂરી આપી? અને શા માટે ખેલાડીઓ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તેમની બેટિંગના વીડિયો પોસ્ટ કરીને ખોટા સંકેતો મોકલી રહ્યા છે?
રાહુલે હાલમાં જ તેની બેટિંગનો વીડિયો ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો હતો. BCCIના અધિકારીનું કહેવું છે કે રાહુલે વીડિયો શેર કર્યો છે, તેથી જ તેમને લાગ્યું કે તે રમવા માટે ફિટ છે.
રાહુલ માત્ર 90% ફિટ હોઈ શકે
શનિવારે ઇંગ્લેન્ડ સામેની છેલ્લી 3 ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. રાહુલ સાથે બીજી ટેસ્ટ ન રમી શકનાર રવીન્દ્ર જાડેજાને પણ ટીમમાં જગ્યા મળી છે. જો કે, BCCIએ કહ્યું કે આ બંનેની ફિટનેસ રિપોર્ટ આવ્યા બાદ જ તેમને મેચ રમવાની મંજૂરી આપવામાં આવશે.
હવે સોમવારે ખુદ BCCIએ માહિતી આપી કે રાહુલ ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. રાહુલ માત્ર 90% ફિટ છે અને NCAની દેખરેખ હેઠળ રિકવરી માટે બેંગલુરુમાં રહેશે. જેથી તે ચોથી અને પાંચમી ટેસ્ટ માટે ફિટ થઈ શકે.
રાહુલની જગ્યાએ પડિક્કલનો સમાવેશ કર્યો
રાહુલની જગ્યાએ કર્ણાટકના લેફ્ટ હેન્ડેડ બેટર દેવદત્ત પડીકલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પડીકલ હાલમાં રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે 2024 સિઝનમાં માત્ર 4 મેચમાં 556 રન બનાવ્યા છે. તેણે 3 સદી ફટકારી હતી. હાલમાં જ તમિલનાડુ વિરૂદ્ધ 151 રનની ઈનિંગ દરમિયાન ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજીત અગરકર સ્ટેડિયમમાં બેસી તેનું પ્રદર્શન જોઈ રહ્યા હતા.
જાડેજા ટીમમાં જોડાયો
BCCIના નિવેદન બાદ રાહુલ NCAમાં જ રહ્યા, જ્યારે રવીન્દ્ર જાડેજા રાજકોટમાં ટેસ્ટ રમવા માટે ટીમ સાથે જોડાયો છે. રાજકોટ તેનું હોમ ગ્રાઉન્ડ છે, જ્યાં 15 ફેબ્રુઆરીએ મેચ શરૂ થાય તે પહેલા તેનું સન્માન કરવામાં આવશે. તેની સાથે ચેતેશ્વર પૂજારાનું પણ સન્માન કરાશે, જેણે ભારત માટે 100થી વધુ ટેસ્ટ રમી છે.
જોકે જાડેજા ત્રીજી ટેસ્ટ ત્યારે જ રમશે જ્યારે તે સંપૂર્ણ રીતે ફિટ થશે. જો તે રમે છે તો અક્ષર પટેલ અથવા કુલદીપ યાદવમાંથી કોઈ એકને બહાર બેસવું પડી શકે છે. બીજી ટેસ્ટમાં કુલદીપે પોતાની બોલિંગથી ઇંગ્લિશ બેટર્સને પરેશાન કર્યા હતા. અક્ષરે બંને ટેસ્ટમાં પોતાની બેટિંગથી પ્રભાવિત કર્યા છે. ટીમનો ત્રીજો સ્પિનર રવિચંદ્રન અશ્વિન હશે.
સરફરાઝ ડેબ્યૂ કરી શકે છે
રાહુલના એક્ઝિટ બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે સરફરાઝ ખાન કે દેવદત્ત પડિકલ ત્રીજા ટેસ્ટમાં ડેબ્યૂ કરશે. બીજી ટેસ્ટમાં ડેબ્યૂ કરી રહેલા રજત પાટીદાર નંબર-4 પર આવી શકે છે. શ્રેયસ અય્યરના આઉટ થવાથી હવે સરફરાઝ કે પદીકલને પાંચમા નંબર પર તક મળી શકે છે.
ત્રીજી ટેસ્ટ માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, દેવદત્ત પડીકલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, કે.એસ. ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા*, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, બુમરાહ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર અને આકાશ દીપ.