12 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને આ વર્ષે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે. અભિનેતા રણદીપ હુડા અને સંગીતકાર એ.આર. રહેમાન પણ સન્માનિત હસ્તીઓમાં સામેલ છે. એવોર્ડ સમારોહ 24 એપ્રિલે યોજાનાર છે.
હાલમાં જ મંગેશકર પરિવારે આ એવોર્ડ મેળવનારી હસ્તીઓના નામની સત્તાવાર જાહેરાત કરી છે. 81 વર્ષના અમિતાભ બચ્ચન, 47 વર્ષના રણદીપ હુડ્ડા અને 57 વર્ષના એ.આર. રહેમાન ઉપરાંત, એવોર્ડ મેળવનારાઓમાં મરાઠી અભિનેતા અશોક સરાફ, પદ્મિની કોલ્હાપુરી, ગાયક રૂપકુમાર રાઠોડ, અભિનેતા અતુલ પરચુરેનો પણ સમાવેશ થાય છે. આ સમારોહનું આયોજન 24મી એપ્રિલે દીનાનાથ મંગેશકર નાટ્યગૃહ, વિલેપાર્લે, મુંબઈ ખાતે થવા જઈ રહ્યું છે.
સંગીત નિર્દેશક હૃદયનાથ મંગેશકરે પત્રકાર પરિષદમાં એવોર્ડની જાહેરાત કરી છે. તેમના પુત્ર આદિનાથ મંગેશકર અને ઉષા મંગેશકર (લતા મંગેશકરની બહેન) પણ કોન્ફરન્સમાં હાજર રહ્યાં હતાં.
લતા મંગેશકરના સન્માનમાં એવોર્ડ શરૂ થયો
સ્વરકોકિલા લતા મંગેશકરના સન્માનમાં દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન દ્વારા લતા દીનાનાથ મંગેશકર પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી. છેલ્લા 34 વર્ષમાં કુલ 212 લોકોને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલે પણ એવોર્ડ મેળવનારાઓમાં સામેલ છે.
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં ‘કલ્કિ 2898 એડી’ અને ‘ધ ઉમેશ ક્રોનિકલ’માં જોવા મળશે. આ સિવાય તે ‘બ્રહ્માસ્ત્ર 2’ માં પણ જોવા મળશે. રણદીપ હુડ્ડા હાલમાં ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ ફિલ્મમાં જોવા મળ્યા બાદ ચર્ચામાં છે. 22 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકાની સાથે રણદીપે તેનું દિગ્દર્શન પણ કર્યું છે.