અમદાવાદ ક્રાઇમબ્રાંચનું ઓપરેશન
પાસપોર્ટને આધારે મલેશિયા નોકરી માટે અરજી કરી હોવાનું બહાર આવ્યું ઃ પુછપરછમાં મોટા ખુલાસાની શક્યતા
Updated: Mar 28th, 2024
અમદાવાદ,શુક્રવાર
અમદાવાદના ચંડોળા તળાવ પાસેની વસાહત ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ
માટે સ્વર્ગ સમાન છે. ત્યારે અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા એક બાંગ્લાદેશી નાગરિકની
ધરપકડ કરવામાં આવી હતી. જેમાં તેણે બનાવટી આધાર કાર્ડની મદદથી પાસપોર્ટ પણ તૈયાર કર્યો
હતો. જે પાસપોર્ટને આધારે મલેશિયા નોકરી કરવા માટે અરજી પણ કરી હતી. જો કે તેને વિઝા
મળ્યા નહોતા. સમગ્ર કેસની તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચના પીએસઆઇ બી એસ ઝાલાને બાતમી મળી હતી કે ચંડોળા તળાવ પાસેની વસાહતમાં એક
બાંગ્લાદેશી વ્યક્તિએ બનાવટી દસ્તાવેજને આધારે પાસપોર્ટ તૈયાર કર્યો છે. જેના આધારે
પોલીસે બુધવારે સાંજે દરોડો પાડીને મોહમંદલાભુ
સરદાર નામના વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો હતો.
પુછપરછમાં તે મુળ બાંગ્લાદેશનાનોડાઇલ જિલ્લાના પાચુડીયા ગામનો વતની હોવાનું
જાણવા મળ્યું હતું. વર્ષ ૨૦૦૧માં તે ગેરકાયદેસર રીતે ભારતમાં આવ્યો હતો. ત્યારબાદ ૨૦૧૨માં
તેણે કુબેરનગર સંતોષીનગરમાં રહેતા રમેશ નામના વ્યક્તિની મદદથી બનાવટી આધાર કાર્ડ તૈયાર કરાવ્યું હતું. તે પછી વર્ષ ૨૦૧૫માં પાસપોર્ટ
પણ ઇસ્યુ કરાવ્યો હતો. આ પાસપોર્ટની મદદથી
તે મલેશિયા ખાતે નોકરી કરવા માટેની ફિરાકમાં હતો. આ માટે તેણે તેના સાળા મારફતે
કલકત્તામાં એક એજન્ટની મદદથી મલેશિયા માટે વિઝા એપ્લીકેશન કરી હતી. જો કે તેના વિઝા
એપ્લીકેશન રદ થઇ હતી અને એજન્ટનું માર્ગ અકસ્માતમાં મોત થતા પાસપોર્ટ, આધાર કાર્ડ અને ચૂંટણી
કાર્ડ પરત મળ્યા નહોતા. જ્યારે બાંગ્લાદેશનો અસલી પાસપોર્ટ તેના વતનમાં હતો. પોલીસે
મોહમંદલાભુ પાસેથી બાંગ્લાદેશ અને ભારતીય પાસપોર્ટની
તેમજ આધાર કાર્ડ-ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ મળી આવી હતી. આ અંગે ક્રાઇમબ્રાંચે વધુ તપાસ શરૂ કરી છે.