(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર
અમેરિકાએ ભારતથી આયાત કરવામાં આવતા એન્જિનિયરિંગ ગુડ્સ પર લગાડેલા ટેરિફને કારણે ગુજરાત અને ભારતના એન્જિનિયરિંગ ઉદ્યોગની ૧૧.૩ અબજ ડૉલરનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અમેરિકાની સરકારે ભારતમાંથી આયાત કરવામાં એન્જિનિયરિંગ ગુડ્સ પર ૨૭ ટકાના દરે આયાત ડયૂટી લેવાનું નક્કી કર્યું છે. આજની તારીખે ભારતમાંથી અમેરિકામાં ૧૭ અબજ અમેરિકી ડૉલરની એન્જિનિયરિંગ આઈટેમ્સની નિકાસ થાય છે. સમગ્રતયા જોવામાં આવે તો ભારતમાંથી અમેરિકામાં થતી ઇન્ડસ્ટ્રીયલ મશીનરીની નિકાસ ૪.૩થી ૫.૮ બિલિયન-અબજ ડૉલર ઘટી જવાની શક્યતા છે. નવા ટેરિફ બેરિયરને કારણે ટૂંકા ગાળામાં નિકાસમાં ઘટાડો થશે. એન્જિનિયરિંગ ગુડ્સની નિકાસ ઘટતી અટકાવવા માટે લાંબા ગાળે એન્જિનિયરિંગ ગુડ્સના ઉત્પદકોએ નવા નવા પ્રોડક્ટ્સ તૈયાર કરવાની ફરજ પડશે.ભારતના એન્જિનિયરિંગ ગુડ્સની આયાત પર અમેરિકાની સરકારે ૨૭ ટકા ડયૂટી લગાડી તેને પરિણામે બહુ જ મોટો પડકા ઊભો થયો છે. તેની અસરને ઓછી કરવા માટે તત્કાળ પગલાં લેવા જરૃરી બની ગયા છે. ભારતમાંથી અમેરિકાના બજારમાં ઠલવાતા એન્જિનિયરિંગ ગુડ્સની વાત કરીએ તો અમેરિકામાં એન્જિનિયરિંગ ગુડ્સની કુલ થતી આયાતમાં ભારતનો ફાળો માત્ર ૧.૭ ટકાનો એટલે કે અંદાજે પોણા બે ટકાનો જ છે. ભારતની તુલનાએ મેક્સિકોનો ફાળો ૨૦.૮ ટકા, ચીનનો ૧૬.૯ ટકા અને કેનેડાનો ફાળો ૮.૯ ટકાનો છે. આમ અન્ય દેશોની તુલનાએ ભારતનો હિસ્સો ઘણો જ નાનો છે.
સ્ટીલ અને સ્ટીલ બનાવટોની નિકાસ પર પણ અસર પડી શકે છે. એલ્યુમિનિયમ અને તેમાંથી બનાવવામાં આવતા ઓટોપાર્ટ્સ, ઇલેક્ટ્રિક મશીનરી અને ઉપકરણોની નિકાસ તથા ઇન્ડસ્ટ્રીયલ મશીનરીની નિકાસ ઘટે તેમ હોવાનું જુદી જુદી મશીનરી બનાવવાના, ફોર્જિંગ અને સ્ટીલ અને આયર્ન પ્રોડક્ટ્સના એક્સપર્ટ સચિન પટેલનું કહેવું છે.
અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ભારતના એન્જિનિયરિંગ અને સ્ટીલ ઉદ્યોગો અમેરિકા પરની નિર્ભરતામાં ઘટાડો કરી દેવો જોઈએ. અમેરિકા પરની નિર્ભરતામાં ઘટાડો થતાં ભારતની નિકાસ પર અવળી અસર પડવાની શખ્યતા ખાસ્સી ઓછી થઈ જશે. ભારત યુરોપિયન સંઘના દેશો, બ્રિટન, અખાતના દેશો તથ કેનેડા સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં આગળ વધીને આ દેશોમાં તેમની નિકાસમાં વધારો કરીને અમિરકા પરની નિર્ભરતા ઘટાડી શકે છે.
હા, ભારત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરે તે પછી ભારતને વધુ મોટા બજારમાં એન્ટ્રી મળવી જ જોઈએ. તેમ જ અમેરિકાના ટેરિફ વધારાને કારણે વેપારમાં આવનારી ઘટને પૂરી શકે તેવી સ્થિતિ નિર્માણ કરવી જોઈએ. ભારત અને યુરોપિયન સંઘના દેશો તથા ભારત અને બ્રિટન વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બહુ જ મહત્વના માનવામાં આવે છે. યુરોપિયન સંઘના દેશોમાં અને બ્રિટન સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બહ જ મહત્વના છે. કારણ કે ભારતના એન્જિનિયરિંગ ગુડ્સ માટે આ દેશોમાં વૈકલ્પિક બજાર મળી રહે તેમ છે. અત્યારે તો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થાય તો તે ભારત માટે લાભદાયી સાબિત થઈ શકે છે.
ફાર્માસ્યૂટિકલ ઉદ્યોગ પર કોઈ અસર નહિ આવે
ડોનાલ્ડ ટ્રમ્ફની સરકારે ફાર્માસ્યૂટિકલ્સ ઉદ્યોગને ટેરિફમાંથી સાવ જ બાદ કરી દીધો હોવાથી ફાર્માસ્યૂટિકલ ઉદ્યોગ પર કોઈ જ અસર પડે તેમ ન હોવાનું ઇડમાના નેશનલ પ્રેસિડન્ટ વિરંચી શાહનું કહેવું છે. અમેરિકાની ભારતમાંથી બનતી ક્વોલીટી દવાઓ અને સસ્તા ભાવની દવાઓની ખાસ જરૃર છે તેથી તેના પર કોઈ જ ટેરિફ લગાડવામાં ન આવ્યું હોવાનું માનવામાં આવે છે. અમેરિકાના અને તેની પરિસરના દેશોમાં ભારતમાંથી દવાઓની અને તેમાંય ખાસ કરીને પેટન્ટની સમયમર્યાદા વટાવી ચૂકેલી દવાઓની નિકાસ વધારે થાય છે.