બાકુ5 મિનિટ પેહલા
- કૉપી લિંક
અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવ પહેલા જ ભારતને આર્મેનિયાને હથિયાર ન આપવાનું કહી ચૂક્યા છે. (ફાઈલ)
અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવે ભારત સમક્ષ માંગ કરતા જણાવ્યું છે કે ભારતે આર્મેનિયાને હથિયારોની સપ્લાય કરવાનું બંધ કરે. રાજધાની બાકુમાં COP29 સંબંધિત એક કાર્યક્રમમાં એક સવાલના જવાબમાં અલીયેવે કહ્યું, “આ આપણા દેશની સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દો છે. ફ્રાન્સ, ભારત, ગ્રીસ જેવા દેશો આપણી વિરુદ્ધ જઈ રહ્યા છે અને આર્મેનિયાને શસ્ત્રો સપ્લાય કરી રહ્યા છે. આવી સ્થિતિમાં અમે હાથ પર હાથ ધરીને બેસીશું નહીં.”
રાષ્ટ્રપતિ અલીયેવે કહ્યું, “અમે આર્મેનિયા અને તેને હથિયારો પૂરા પાડનારા દેશોની સામે અમારું વલણ સ્પષ્ટ કર્યું છે. જો અમારા દેશની સુરક્ષાને જોખમ થશે તો અમે તેની સામે પગલાં લઈશું. આર્મેનિયા અમારી વિરુદ્ધ તેની સૈન્ય શક્તિ વધારી રહ્યું છે.” સરહદ પર તેના સૈનિકો તહેનાત કરવામાં આવી રહ્યા છે.
આ તસવીર 2019ની છે, જ્યારે આર્મેનિયાના વડાપ્રધાન નિકોલ પાશિન્યાન PM મોદીને મળ્યા હતા.
આર્મેનિયાને શસ્ત્રો આપવાનું કારણ- કાશ્મીર
ખરેખરમાં અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે કારાબાખ મામલે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. પાકિસ્તાન અને તુર્કી અઝરબૈજાનને ખુલ્લું સમર્થન અને લશ્કરી સહાય પૂરી પાડે છે. બદલામાં, અઝરબૈજાન કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કરે છે. ગયા વર્ષે ભારતમાં અઝરબૈજાનના રાજદૂત અશરફ શિકાલિયેવે કહ્યું હતું કે અઝરબૈજાન છેલ્લા 30 વર્ષથી કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કરી રહ્યું છે.
આવી સ્થિતિમાં ભારતે હાલના સમયમાં આર્મેનિયા સાથે સંરક્ષણ સહયોગ વધાર્યો છે. ભારતે ગયા વર્ષે જુલાઈમાં પિનાક રોકેટ લોન્ચર્સની પ્રથમ શિપમેન્ટ આર્મેનિયાને પહોંચાડી હતી. પિનાકની ડિલિવરીના સમાચાર સામે આવતાની સાથે જ રાષ્ટ્રપતિના સલાહકાર હિકામત હાજીયેવ અઝરબૈજાનમાં ભારતીય દૂતાવાસને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ભારત અને આર્મેનિયા વચ્ચે વધી રહેલા સંરક્ષણ સહયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
આર્મેનિયા અને ભારત વચ્ચે 6 હજાર કરોડ રૂપિયાની ડિફેન્સ ડીલ
આર્મેનિયા અને ભારત વચ્ચે વધુ એક ડિફેન્સ ડીલ છે, જેમાં ફ્રાન્સ પણ ભાગીદાર તરીકે સામેલ છે. આ અંતર્ગત ભારત સ્વદેશી બનાવટની એન્ટિ-એર સિસ્ટમ આકાશને આર્મેનિયામાં એક્સપોર્ટ કરશે. હવાઈ હુમલાને રોકવા માટેની આ સિસ્ટમમાં તોપ, દારૂગોળો અને ડ્રોનનો સમાવેશ થાય છે.
આ માટે બંને દેશો વચ્ચે લગભગ 6 હજાર કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ડીલ પછી અઝરબૈજાનના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ભારત અને ફ્રાન્સ આ ડીલ દ્વારા આગમાં ઘી નાંખવાનું કામ કરી રહ્યા છે. આ શસ્ત્રો સાથે પણ, આર્મેનિયા કારાબાખ પરત લઈ શકશે નહીં. અઝરબૈજાને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નાગોર્નો-કારાબાખ પ્રદેશ પર કબજો કર્યો હતો.
શા માટે અઝરબૈજાન-આર્મેનિયા વચ્ચે સંઘર્ષ?
- નાગોર્નો-કારબાખ ક્ષેત્ર આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે 20 વર્ષથી વધુ સમયથી વિવાદનું કારણ છે. કોઈ દેશ તેને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપતો નથી.
- 1988થી બંને યુરેશિયન દેશો નાગોર્નો-કારાબાખ વિસ્તાર પર કબજો કરવા માંગે છે.
- આ વિસ્તાર આંતરરાષ્ટ્રીય સ્તરે અઝરબૈજાનનો એક ભાગ છે, પરંતુ 1991માં તેના લોકોએ અઝરબૈજાનથી સ્વતંત્રતા અને પોતાને આર્મેનિયાનો એક ભાગ જાહેર કર્યો.
- કારાબાખ પર 1994થી આર્મેનિયન વંશીય જૂથો દ્વારા કબજો કરવામાં આવ્યો છે.
- તે દક્ષિણ કોકેશસમાં ઈરાન, રશિયા અને તુર્કીની સરહદે આવેલો એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક વિસ્તાર છે.
2020માં 6 અઠવાડિયા સુધી યુદ્ધ ચાલ્યું
2020માં અઝરબૈજાને આર્મેનિયા પર હુમલો કર્યો. લગભગ છ અઠવાડિયાના યુદ્ધ પછી, અઝરબૈજાને એકપક્ષીય વિજય મેળવ્યો અને વિવાદિત વિસ્તારના મોટા ભાગ પર નિયંત્રણ મેળવ્યું હતું. આ યુદ્ધમાં બંને દેશોના 6,500થી વધુ લોકો માર્યા ગયા હતા. યુદ્ધવિરામ માટે રશિયાએ આગળ આવવું પડ્યું હતું.