ગાઝા સિટી / રાફેહ4 કલાક પેહલા
- કૉપી લિંક
- હમાસના હુમલા બાદ ઇઝરાયલી સૈન્ય કાર્યવાહીથી 23 લાખ પેલેસ્ટેનિયનો ભયાનક સંકટમાં
ઇઝરાયલ પર હમાસના આતંકી હુમલાને મંગળવારના દિવસે 200 દિવસ પૂર્ણ થઇ ગયા છે. ગાઝાના 23 લાખ પેલેસ્ટિનિયન નાગરિકોને ઇઝરાયલી નાકાબંધી અને સૈન્ય હુમલાની વચ્ચે દરરોજ બે ટંક ભોજન માટે પણ સંઘર્ષ કરવાની ફરજ પડી રહી છે. સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે ગાઝામાં મેમાં ભૂખમરાનું સંકટ તોળાઇ રહ્યું છે. ગાઝામાં સૌથી ખરાબ સ્થિતિ એ બાળકોની છે જે બાળકોએ યુદ્ધની વચ્ચે જન્મ લીધો છે. 17મી એપ્રિલ સુધી હોસ્પિટલોમાં કુપોષણથી 12 વર્ષથી ઓછી વયનાં 28 બાળકોનાં મોત થયાં હતાં.
કિસ્સો 1: પેક્ડ ફૂડ જ એકમાત્ર સહારો હતો, હવે કુપોષણ વચ્ચે ડૉક્ટરોને હાથની નસ મળતી નથી
મુહાન્નાદ અલ-નજ્જરનો જન્મ ગાઝા યુદ્ધ પહેલાં થયો હતો. ઉત્તર ગાઝામાં લડાઇના કારણે તેના પરિવારના સભ્યોને ખાન યુનિસમાં આશ્રય લેવાની ફરજ પડી હતી. વિસ્થાપિત વ્યક્તિઓના કેમ્પમાં રોકાણ દરમિયાન પરિવાર રાહત સામગ્રી પર નિર્ભર હતો. બાળકને તાજો ખોરાક ન મળવાથી તે બીમાર પડી ગયો. હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. હવે બાળકે ખાવા-પીવાનું છોડી દીધું છે. તે દિવસમાં બે કપ પાણી સિવાય કંઈ ખાતો કે પીતો નથી. તેનું વજન અડધું થઈ ગયું છે અને તે હાડપિંજર જેવો દેખાય છે. તેની સ્થિતિ એવી છે કે તેના હાથમાંથી ટીપાં મૂકી શકાય તેમ નથી.
કેસ 2: બાળકના દૂધ પાઉડર માટે માતાને દાગીના વેચવા પડ્યા
નૂર બરદા અને હેબા અરકાનનાં બાળક જેહાદનો જન્મ પાંચ મહિના પહેલાં અલ શિફા હોસ્પિટલમાં થયો હતો.આ દંપતીના તમામ પૈસા તો ખોરાક ખરીદવા માટે પહેલેથી જ ખતમ કરી દીધા હતા.જેથી બાળક માટે દૂધ પાઉડર ખરીદવા માતાએ સોનાના દાગીના વેચવા પડ્યા હતા.
- ગાઝાના બાળરોગ ચિકિત્સક ડૉ. મોન્ટ્રેસર અલ ફારા કહે છે કે ગાઝાનાં દરેક ઘર અને રાહત શિબિરમાં એવાં બાળકો છે જે ગંભીર કુપોષણનો શિકાર છે.
- ઓક્સફેમનો અંદાજ છે કે ઉત્તરી ગાઝામાં હજારો લોકોને દરરોજ સરેરાશ 245 કેલરી પર જીવવાની ફરજ પડી રહી છે.
ગાઝાઃ દર કલાકે 15 લોકોનાં મોત થઇ રહ્યાં છે. જેમાં 6 બાળકો સામેલ.
ઈઝરાયલના હુમલામાં 34,637 પેલેસ્ટાઈનનાં મોત થયાં છે જ્યારે 77 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં સૌથી વધુ 14,500 બાળકોનો સમાવેશ થાય છે. આ સિવાય 8 હજારથી વધુ લોકો ગુમ છે. એટલે કે 6 બાળકો સહિત દર કલાકે 15 લોકોનાં મોત થઈ રહ્યાં છે. ઈઝરાયલના હુમલામાં ગાઝાનાં અડધાથી વધુ ઘરો, 80% કોમર્શિયલ ઈમારતો, 90% શાળાની ઈમારતો અને 267 ધાર્મિક સ્થળો નાશ પામ્યાં છે.
ઇઝરાયલઃ 129 લોકો 200 દિવસથી હમાસના સકંજામાં
7 ઓક્ટોબરના રોજ હમાસના હુમલામાં 1200 ઈઝરાયલી લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 8 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા. હમાસના આતંકવાદીઓએ 244 લોકોને બંધક પણ બનાવ્યા હતા, જેમાંથી 100થી વધુ લોકોને મુક્ત કરવામાં આવ્યા છે જ્યારે 129થી વધુ લોકો છેલ્લા 200 દિવસથી હમાસની કસ્ટડીમાં છે. તાજેતરમાં અમેરિકાએ ઈઝરાયલની કટ્ટરપંથી બ્રિગેડ પર પ્રતિબંધની જાહેરાત કરી છે.