એજન્સી, વારાણસી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થકોને સોશિયલ મીડિયા પર ‘ભક્ત’ કહેનારાઓની ભરમાર છે પરંતુ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં મોદીને ભગવાન માની તેમની પૂજા કરતા વાસ્તવિક ભક્તો જોવા મળી રહ્યા છે. હકીકતમાં બલિયા જિલ્લાના બાંસડીહ નગર પંચાયતમાં આવેલું દુર્ગા મંદિર હવે મોદી મંદીર બની ગયું છે. આ વખતે નવરાત્રીમાં દુર્ગા મંદીરમાં મોદીના ફોટા લગાવી ભગવાનની જેમ પૂજા કરનારા ભક્તોની ભીડ સવારે-સાંજે જોવા મળતી હતી.
વડાપ્રધાન મોદીના ફોટા લગાવી પૂજા-અર્ચના કરનારા ભક્તોમાં મહિલાઓની સંખ્યા પણ ઓછી નથી. ગામના લોકોએ મોદીની પૂજા સાથે સાથે ફરીથી તેમને વડાપ્રધાન બનાવવા માટે નવ દિવસનું વ્રત પણ રાખ્યું છે. આ ઉપરાંત સ્થાનિક લોકોએ રાજ્યની યોગી સરકાર સમક્ષ માગણી કરી છે કે બાંસડીહ નગર પંચાયતનું નામ મોદી નગર પંચાયત કરવામાં આવે.
‘ગરીબો માટે મોદી ભગવાન’
દુર્ગા મંદીરમાં વડાપ્રધાન મોદીના લાગેલા ફોટાને મહિલા હોય અથવા પુરુષ, બાળક હોય અથવા યુવાન તમામ લોકો દેવતા માની અગરબતી કરી વિજય તિલક લગાવી રહ્યા છે. મોદી માટે વ્રત રાખનારા પ્રતુલ ઓઝા કહે છે, ‘નવરાત્રીમાં અમે મા દુર્ગાને પ્રાર્થના કરીએ છીએ કે મોદીજી ફરી વડાપ્રધાન બને. તેઓ ગરીબો માટે ભગવાન સમાન છે. આ જ કારણથી અમે બધા મંદીરમાં તેમનો ફોટો મુકી પૂજા કરી રહ્યા છીએ.
ફરીથી વડાપ્રધાન બને એટલે નવ દિવસનો ઉપવાસ
મોદી ભક્ત રમાવતી દેવીએ કહ્યું કે નવરાત્રીના પહેલા દિવસથી મા દુર્ગા સાથે સાથે મોદીજીને તિલક લગાવી ધૂપ, અગરબતી કરી તેમના વિજયની કામના કરી રહ્યી છું. સાથે જ તેના માટે મેં નવ દિવસનું વ્રત પણ રાખ્યું છે.