- Gujarati News
- National
- Maharashtra Maratha Reservation Update; Eknath Shinde Devendra Fadnavis | Manoj Jarange Patil
મુંબઈ2 કલાક પેહલા
- કૉપી લિંક
મંગળવાર (20 ફેબ્રુઆરી)ના રોજ મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠાઓને 10% અનામત આપવાના બિલને મંજૂરી આપવામાં આવી હતી. મરાઠા આરક્ષણને લઈને આજે વિધાનસભાના વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાનસભામાં બિલ રજૂ કરતા પહેલા તેને કેબિનેટ તરફથી લીલી ઝંડી મળી ગઈ હતી.
મરાઠા આરક્ષણ બિલ પાસ થવાથી મરાઠાઓને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં 10% અનામત મળશે. રાજ્યમાં પહેલાથી જ 52% અનામત છે. 10% મરાઠા આરક્ષણ સાથે, અનામત મર્યાદા વધીને 62% થશે.
આરક્ષણ મર્યાદા 50%થી વધુ હોવાને કારણે, આ બિલને કાયદાકીય પડકારોનો સામનો કરવો પડી શકે છે. સુપ્રીમ કોર્ટે મે 2021માં મરાઠા આરક્ષણને રદ્દ કરી દીધું હતું, કારણ કે અનામતની મર્યાદા 50%થી ઉપર ગઈ હતી.
જરાંગે કહ્યું- અમારે ઓબીસી ક્વોટામાંથી અનામત જોઈએ
મરાઠા આંદોલનના નેતા મનોજ જરાંગે પાટીલે કહ્યું કે ડ્રાફ્ટ બિલમાં મરાઠાઓની માંગણીઓ પૂરી કરવામાં આવી નથી. જો અનામત મર્યાદા 50 ટકાથી વધી જશે તો સુપ્રીમ કોર્ટ તેને રદ કરશે. અમને એવું અનામત જોઈએ છે જે ઓબીસી ક્વોટામાંથી હોય અને 50 ટકાથી નીચે રહે.
જરાંગે કહ્યું- સરકારે અમને મૂર્ખ ન બનાવે. જો મરાઠાઓને ઓબીસી ક્વોટામાંથી અનામત નહીં મળે તો અમારું આંદોલન ઉગ્ર બનશે. અમે જોઇશું કે વિધાનસભાના વિશેષ સત્રમાં અમારી માંગણીઓ પર વિચાર કરવામાં આવે છે કે નહીં.
રાજ્ય પછાત વર્ગ આયોગના અહેવાલના આધારે અનામતની પહેલ
મહારાષ્ટ્ર બેકવર્ડ ક્લાસ કમિશન (MBCC)ના સર્વે રિપોર્ટના આધારે મરાઠાઓનું આરક્ષણ વધારવાની પહેલ કરવામાં આવી છે. 16 ફેબ્રુઆરીના રોજ, MBCC એ મરાઠા સમુદાયના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાતપણા પર આધારિત એક સર્વે રિપોર્ટ શિંદે સરકારને સુપરત કર્યો હતો.
જેમાં કહેવામાં આવ્યું હતું કે મરાઠા સમુદાય સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે. સર્વેમાં સામે આવ્યું છે કે રાજ્યમાં આત્મહત્યા કરનારા ખેડૂતોમાંથી 94% મરાઠા સમુદાયના છે. માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણમાં મરાઠા સમુદાયની ટકાવારી ઓછી છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સરકારી નોકરીઓમાં મરાઠાઓની સંખ્યા ઓછી છે.
આ સર્વેમાં 2.5 કરોડ પરિવારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ પર સીએમ શિંદેના કાર્યાલય તરફથી નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે સર્વેના તારણો પર 20 ફેબ્રુઆરીએ રાજ્ય કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
મરાઠા આરક્ષણનો ઇતિહાસ
મરાઠાઓ પોતાને કુણબી સમુદાય તરીકે વર્ણવે છે. જેના આધારે તેઓ સરકાર પાસે અનામતની માગ કરી રહ્યા છે. તેનો પાયો 26 જુલાઈ 1902ના રોજ નાખવામાં આવ્યો હતો, જ્યારે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ અને કોલ્હાપુરના મહારાજા છત્રપતિ શાહુજીએ એક હુકમનામું બહાર પાડ્યું હતું કે તેમના રાજ્યમાં તમામ ખાલી સરકારી હોદ્દાઓ પર, મરાઠા, કુણબી અને 50% અનામત આપવામાં આવશે.
આ પછી, મરાઠા સમુદાયને પણ 1942 થી 1952 સુધી બોમ્બે સરકાર દરમિયાન 10 વર્ષ માટે આરક્ષણ મળ્યું. પરંતુ ત્યારબાદ મામલો ઠંડો પડી ગયો હતો. આઝાદી પછી, મરાઠા આરક્ષણ માટે પ્રથમ સંઘર્ષ મજૂર નેતા અન્નાસાહેબ પાટીલે શરૂ કર્યો હતો. તેમણે જ ઓલ ઈન્ડિયા મરાઠા ફેડરેશનની સ્થાપના કરી હતી. 22 માર્ચ, 1982ના રોજ, અન્નાસાહેબ પાટીલે મરાઠા આરક્ષણ સહિત અન્ય 11 માગણીઓ સાથે મુંબઈમાં પ્રથમ કૂચ કાઢી હતી.
તે સમયે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ (I) સત્તા પર હતી અને બાબાસાહેબ ભોસલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. વિરોધ પક્ષના નેતા શરદ પવાર હતા. ત્યારે શરદ પવાર કોંગ્રેસ (S) પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા હતા. મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું, પરંતુ કોઈ નક્કર પગલાં લીધાં નથી. આથી અન્નાસાહેબ ગુસ્સે થયા.
બીજા જ દિવસે, 23 માર્ચ 1982ના રોજ, તેમણે પોતાને માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી. આ પછી રાજકારણ શરૂ થયું. સરકારો પડવા લાગી અને બનવા લાગી અને આ રાજકારણમાં મરાઠા આરક્ષણનો મુદ્દો ઠંડો પડી ગયો.
કુણબી સમુદાય કોણ છે?
કુણબી, એક કૃષિ સમુદાય, મહારાષ્ટ્રમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) તરીકે વર્ગીકૃત થયેલ છે. કુણબી સમાજને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામતનો લાભ મળે છે. મહારાષ્ટ્ર કેબિનેટે ગયા મહિને મરાઠવાડા પ્રદેશમાં એવા મરાઠાઓને કુણબી જાતિ પ્રમાણપત્ર આપવાનો નિર્ણય લીધો હતો, જેમની પાસે નિઝામ યુગની આવક અને શૈક્ષણિક દસ્તાવેજો છે જેમાં તેઓ કુણબી તરીકે સૂચિબદ્ધ છે.