34 મિનિટ પેહલા
- કૉપી લિંક
ચૈત્ર માસનું ખુબજ ધાર્મિક મહત્વ હોય છે. આજે પણ ઓખાહરણ વાંચવામાં આવે છે. ખાસ કરીને ગામડાઓમાં વૃદ્ધ લોકો જ્યારે પણ સમય મળે એટલે આ પાઠનું પઠન કરે છે. ભલે ટેકનોલોજી વધી હોય અને લોકો બદલાયા હોય પરંતુ ગ્રામ્ય જીવન શૈલીમાં આજે પણ ધાર્મિકતા મહેકી રહી છે.
બારે માસનો રાજા એટલે ચૈત્ર માસ. હિંદુ સંસ્કૃતિમાં આ માસનું ખુબજ ધાર્મિક મહત્ત્વ હોય છે. ચૈત્ર સુદ એકમથી શરુ થતા આ પવિત્ર માસ ચૈત્ર વદ અમાસે પૂર્ણ થાય છે. આ માસમાં ઓખાહરણના પાઠનું પઠન કરવામાં આવે છે . શરીર નિરોગી બને તેમજ મનોકામના સિધ્ધ થાય તે હેતુથી આ પાઠનું વાંચન કરવામાં આવે છે.
ઓખા, ચિત્રલેખા અને અનિરુદ્ધનો પાઠ
ઓખાએ પોતાના પ્રિય પાત્રના મેળાપ માટે પોતાની બહેનપણી ચિત્રલેખાની મદદથી દ્વારકામાં બિરાજેલા શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધનું હરણ કર્યું હતું તે આ કથામાં વર્ણાવાયું છે. ટેક્નોલોજી અને આધુનિકરણના સમયમાં પણ આજે ચરોતરના કેટલાક ગામડાઓમાં દિવસ કે રાત્રે ઓખાહરણ વાંચવામાં આવે છે. સાથે સાથે આધ્યાત્મિક, ભૌતિક, બૌધીક અને સાત્વિક મહત્વ પણ સમજાવાય છે. તો શરીરની તંદુરસ્તી જળવાય તે માટે પણ આ માસ દરમ્યાન લીમડાના રસનું સેવન કરવામાં આવે છે .