8 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટર અક્ષય ખન્ના આજે 49 વર્ષના થઈ ગયા છે. તેઓ જાણીતા અભિનેતા વિનોદ ખન્નાના નાના પુત્ર છે. અક્ષયે તેના પિતા વિનોદ ખન્ના દ્વારા નિર્મિત ‘હિમાલય પુત્ર’ ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ તેને લોકપ્રિયતા 1999માં હિટ ફિલ્મ ‘તાલ’થી મળી હતી. અક્ષયે ‘તાલ’, ‘બોર્ડર’, ‘હસ્ટલ’, ‘હંગામા’, ‘ગાંધી માય ફાધર’, ‘રેસ’, ‘દિલ ચાહતા હૈ’ જેવી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે, જો કે તે પછી પણ તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તે સ્થાન મળ્યું નથી જેના તે હકદાર હતા.
પિતા વિનોદ ખન્ના, માતા ગીતાંજલિ, મોટા ભાઈ રાહુલ સાથે અક્ષય
22 વર્ષની ઉંમરે ડેબ્યૂ કરનાર અક્ષયને 19 વર્ષની ઉંમરે વાળ ખરવાની સમસ્યા સામે ઝઝૂમવું પડ્યું હતું. જેમ જેમ તેની કારકિર્દી આગળ વધતી ગઈ તેમ તેમ અક્ષયની આ સમસ્યા વધુ ઘેરી બનતી ગઈ, જેના કારણે તેની ફિલ્મી કારકિર્દી પર પણ અસર થવા લાગી. અક્ષયે થોડાં વર્ષો માટે બે વાર ફિલ્મોમાંથી બ્રેક પણ લીધો હતો. તેણે 2001ની ‘દિલ ચાહતા હૈ’ સાથે જોરદાર પુનરાગમન કર્યું. તેણે આગળ ‘રેસ’, ‘આપકી ખાતિર’, ‘ગાંધી માય ફાધર’ જેવી ફિલ્મો કરી. તેની અગાઉની ફિલ્મ ‘દૃશ્યમ 2’ હતી જે 2022માં રિલીઝ થઈ હતી. અક્ષય હવે તેના ડિજિટલ ડેબ્યૂની તૈયારી કરી રહ્યો છે. તે રવિના ટંડન સાથે વેબસિરીઝ ‘લિગેસી’માં જોવા મળશે.
પિતા વિનોદ ખન્ના સાથે અક્ષય
ચાલો જાણીએ અક્ષયના જન્મદિવસ પર તેમના જીવન સાથે જોડાયેલાં કેટલાંક રસપ્રદ તથ્યો…
અક્ષયનો જન્મ 28 માર્ચ, 1975ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રમાં થયો હતો. પિતાનું નામ વિનોદ ખન્ના અને માતાનું નામ ગીતાંજલિ છે. અક્ષયનાં માતા-પિતા બંને હવે આ દુનિયામાં નથી. વિનોદ ખન્નાનું 2017માં મૃત્યુ થયું હતું જ્યારે માતા ગીતાંજલિનું 2018માં અવસાન થયું હતું. અભિનેતા રાહુલ ખન્ના અક્ષયના મોટા ભાઈ છે. અક્ષયનું પ્રારંભિક શિક્ષણ બોમ્બે ઇન્ટરનેશનલ સ્કૂલ, બાબુલનાથમાં થયું હતું.
આ પછી તેણે લોરેન્સ સ્કૂલ, લવડેલ, ઊટીમાંથી 11 અને 12માં અભ્યાસ કર્યો. અક્ષયને અભ્યાસમાં ખાસ રસ નહોતો. તેને હંમેશાં અભ્યાસ કરતાં રમતગમતમાં વધુ રસ હતો. 17 વર્ષની ઉંમરે, અક્ષયે કોલેજની પરીક્ષા આપી ન હતી કારણ કે તેને ડર હતો કે તે નાપાસ થઈ જશે. આનાથી વધારે તેને ચિંતા હતી કે જો તે નિષ્ફળ જશે તો તે તેનાં માતા-પિતાને શું કહેશે.
અક્ષયને ‘હિમાલય પુત્ર’ માટે બેસ્ટ મેલ ડેબ્યૂ માટે સ્ક્રીન એવોર્ડ મળ્યો હતો
12મા ધોરણ પછી અક્ષય આગળ ભણવા બિલકુલ ઇચ્છતો ન હતો પરંતુ તે તેનાં માતા-પિતાને આ વાત કહેતા અચકાયો હતો. આખરે એક દિવસ અક્ષયે હિંમત એકઠી કરી અને તેના પિતાને કહ્યું કે તે આગળ ભણવા માંગતો નથી. આ સાંભળીને વિનોદ ખન્ના ગુસ્સે થઈ ગયા પરંતુ ઘણી સમજાવટ બાદ તેઓ રાજી થઈ ગયા. આ દરમિયાન અક્ષયે પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી કે તે ફિલ્મોમાં કરિયર બનાવવા માગે છે.
વિનોદ ખન્નાએ ડેબ્યૂ ફિલ્મમાં પૈસા લગાવ્યા હતા
વિનોદ ખન્નાએ પુત્રના આ સપનાનો વિરોધ કર્યો ન હતો. તેણે અક્ષયને પહેલા એક્ટિંગ શીખવાની સલાહ આપી અને તેને કિશોર નમિત કપૂરની એક્ટિંગ સ્કૂલમાં એડમિશન અપાવ્યું. અહીં અભિનયની બારીકીઓ શીખ્યા પછી, વિનોદ ખન્નાએ તેમના માટે ‘હિમાલય પુત્ર’ નામની ફિલ્મમાં પૈસા રોક્યા. આ ફિલ્મના નિર્દેશક પંકજ પરાશર હતા. 1997માં, અક્ષયને ‘હિમાલય પુત્ર’ દ્વારા બોલિવૂડમાં તેનું ડ્રીમ લૉન્ચ થયું પરંતુ ફિલ્મ ફ્લોપ રહી. આમ છતાં ફિલ્મમાં અક્ષયની પ્રશંસા થઈ હતી. ‘હિમાલય પુત્ર’ માટે તેને બેસ્ટ મેલ ડેબ્યૂ માટે સ્ક્રીન એવોર્ડ મળ્યો હતો.
આ ફિલ્મ પછી, અક્ષય જેપી દત્તાની યુદ્ધ ડ્રામા ફિલ્મ ‘બોર્ડર’માં સની દેઓલ, સુનીલ શેટ્ટી અને જેકી શ્રોફ જેવા સ્ટાર્સ સાથે જોવા મળ્યો હતો. અક્ષયને ફિલ્મમાં તેની ભૂમિકા માટે બેસ્ટ મેલ ડેબ્યૂ માટેનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. બોર્ડર 1997ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી.
1997માં જ અક્ષયની ત્રીજી ફિલ્મ ‘મોહબ્બત’ રીલિઝ થઈ હતી જેમાં તેની સામે માધુરી દીક્ષિત હતી. આ ફિલ્મ ફ્લોપ રહી હતી. આ પછી પણ અક્ષયની ફિલ્મો બેક ટુ બેક આવી જેમાં ‘ડોલી સજા કે રખના’, ‘કુદરત’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ તમામ ફિલ્મો ફ્લોપ રહી હતી. અક્ષયની નિષ્ફળતા પર ટીકાકારોએ કહ્યું કે, ‘તે પરંપરાગત હીરોની ઈમેજમાં ફિટ નથી, તેથી તેના માટે દર્શકોમાં પોતાનું સ્થાન બનાવવું સરળ નથી.’
1999માં સૌથી વધુ સફળતા મળી
વર્ષ 1999 અક્ષય માટે સૌથી સફળ સાબિત થયું. આ વર્ષની શરૂઆતમાં, તેને ઋષિ કપૂરની ડિરેક્ટર તરીકેની પ્રથમ ફિલ્મ ‘આ અબ લૌટ ચલે’માં કામ કરવાની તક મળી. આ ફિલ્મે ભારતમાં સારી કમાણી કરી ન હતી પરંતુ વિદેશમાં સારી કમાણી કરી હતી.
ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’માં અક્ષય તેના નેચરલ લૂકમાં જોવા મળ્યો હતો.
1999માં, અક્ષયની બીજી ફિલ્મ ‘લાવારિસ’ ફ્લોપ થઈ, જો કે, તે જ વર્ષે, ‘તાલ’ ફિલ્મે તેને વાસ્તવિક સફળતા અપાવી. સુભાષ ઘઈની આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મમાં અક્ષયને ઐશ્વર્યાની સામે કાસ્ટ કરવામાં આવ્યો હતો.
‘તાલ’ 1999ની ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. ‘તાલ’ એ ફિલ્મ હતી જેમાં બોર્ડર પછી અક્ષયને તેની કારકિર્દીમાં પ્રથમ વખત વ્યાવસાયિક સફળતા મળી હતી, જોકે ‘તાલ’ પછી અક્ષયની મોટાભાગની ફિલ્મો ફ્લોપ સાબિત થઈ હતી.
વાળ ખરવાથી કરિયરને નુકસાન થયું
અક્ષયે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જ્યારે તે 19 વર્ષનો હતો ત્યારે તેના વાળ ખરવા લાગ્યા હતા. આના કારણે તે ખૂબ જ ચિંતિત થવા લાગ્યો. ફિલ્મોમાં પ્રવેશ્યા પછી, તેની બેચેની વધી ગઈ કારણ કે હીરો માટે દેખાવ, શરીર અને વાળ સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે. ધીમે-ધીમે અક્ષયના ઘણા વાળ ખરી ગયા અને ટાલ પડવાને કારણે તેને ઓછી ફિલ્મો મળી, પરંતુ તેમ છતાં અક્ષયે વિગ કે પેચ પહેર્યો ન હતો. સમયની સાથે તેણે આ વાત સ્વીકારી લીધી અને હવે તે તેના બાલ્ડ લુકમાં જોવા મળી રહ્યો છે.
અક્ષય અને ઐશ્વર્યા ફિલ્મ ‘આ અબ લૌટ ચલેં’માં.
વર્ષ 2000માં ફ્લોપ ફિલ્મોને કારણે અક્ષયે એક વર્ષનો બ્રેક લીધો હતો. 2001માં તે ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’માં જોવા મળ્યો હતો જેમાં તેને સિડના રોલમાં ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. આ પછી, 2002માં, અક્ષય પ્રથમ વખત ફિલ્મ ‘હમરાઝ’માં નકારાત્મક ભૂમિકામાં જોવા મળ્યો હતો, જેમાં તેને પસંદ કરવામાં આવ્યો હતો. ધીરે-ધીરે અક્ષયને હીરોને બદલે સાઈડ રોલ મળવા લાગ્યા, જેમાં તેને પ્રશંસા પણ મળી.
2012માં બીજો બ્રેક લીધો
અક્ષયે 2012માં ફરી એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો. એક ઈન્ટરવ્યૂમાં તેણે આ સમયગાળાને તેના જીવનનો સૌથી ખરાબ સમયગાળો ગણાવ્યો હતો. તેણે કહ્યું હતું કે, ‘જ્યારે મેં બ્રેક લીધો હતો તે સમયગાળો હું યાદ રાખવા માગતો નથી. એ સમય મારા જીવનનો સૌથી ખરાબ સમય હતો. હું ઘરે બેસી રહેનારો નથી, મને કામ કરવું ગમે છે પણ ક્યારેક સમય તમારી કસોટી કરે છે. જો તમારે જે કામ કરવું હોય તે ન મળે તો તમારે ઘરે બેસી રહેવું પડશે. છેવટે, કોણ ઘરે બેસવા માંગે છે? હું 19 વર્ષનો હતો ત્યારથી કામ કરું છું, મારે બીજું કંઈ જોઈતું નથી. મને સેટ પર રહેવું ગમે છે.’
2012 થી 2016 સુધી ઈન્ડસ્ટ્રીથી દૂર રહેલા અક્ષયે ફિલ્મ ‘ઢીશૂમ’થી કમબેક કર્યું હતું. આ પછી તેને ‘મોમ’, ‘ઇત્તેફાક’, ‘સેક્શન 375’ જેવી ફિલ્મો મળી.
તેમની છેલ્લી ફિલ્મ ‘દૃશ્યમ 2’ હતી જેમાં તે પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળ્યો હતો. અક્ષયે તેની કારકિર્દીમાં લગભગ 40 ફિલ્મો કરી છે, જેમાંથી માત્ર આઠ જ સફળ સાબિત થઈ છે.
અક્ષયની હિટ ફિલ્મો
પિતાના સંન્યાસ વિશે આ વાત કરી
એક ઈન્ટરવ્યૂમાં અક્ષયે પિતા વિનોદ ખન્નાના સંન્યાસ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, ‘હું માત્ર પાંચ વર્ષનો હતો જ્યારે પિતા બધું છોડીને ઓશો આશ્રમ ગયા હતા. આટલી નાની ઉંમરે મારામાં એટલી સમજ નહોતી કે હું તેમના નિર્ણય વિશે વિચારી શકું. જ્યારે હું 15 વર્ષનો થયો ત્યારે મને તેમના સંન્યાસ વિશે સમજાયું.’ અક્ષયે કહ્યું હતું કે, તેના પિતાનો સંન્યાસ લેવાનો નિર્ણય જીવન બદલાવનારી ક્ષણ સાબિત થઈ હશે, કારણ કે સારી કારકિર્દી અને પરિવાર છોડવો કોઈના માટે સરળ નથી હોતો.
ઐશ્વર્યા પરથી નહોતી હટતી અક્ષયની નજર
‘આ અબ લૌટ ચલેં’ અને ‘તાલ’ જેવી ફિલ્મોમાં કામ કરતી વખતે અક્ષયને ઐશ્વર્યા સાથે પ્રેમ થઈ ગયો હતો. તેણે પોતે એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે તે જ્યારે પણ ઐશ્વર્યાને મળતો ત્યારે તે તેના પરથી નજર હટાવી શકતો ન હતો.
એટલું જ નહીં, તેણે એ પણ સ્વીકાર્યું કે જ્યારે પણ ઐશ્વર્યા તેની સામે આવે છે, ત્યારે તે તેની સામે જોવાથી પોતાને રોકી શકતો નહોતો કારણ કે તે ખૂબ જ સુંદર છે.
અક્ષય કરિશ્મા સાથે ‘દીવાના તેરે નામ કા’માં કામ કરી રહ્યો હતો, પરંતુ તે રિલીઝ થઇ શકી નહોતી
જો કે, અક્ષયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી તારા શર્માને ડેટ કરી હતી. બંને થોડાં વર્ષો સુધી એકબીજા સાથે સમય વિતાવતા રહ્યાં પરંતુ પછી તેમનું બ્રેકઅપ થઈ ગયું.
કરિશ્મા કપૂર સાથે લગ્ન ન થઈ શક્યાં
અક્ષય ખન્ના અપરિણીત છે. એક સમય એવો હતો કે જ્યારે તેના પિતા તેના લગ્ન કરિશ્મા કપૂર સાથે કરાવવા માગતા હતા, પરંતુ તે થઈ શક્યું નહીં. વાસ્તવમાં, વિનોદ ખન્નાએ પુત્ર અક્ષય માટે પોતાના મિત્ર રણધીર કપૂરની પુત્રી કરિશ્માની માગણી કરી હતી. પરંતુ કરિશ્માની માતાએ આ સંબંધને નકારી દીધો હતો. કરિશ્માએ સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા પરંતુ અક્ષયે ક્યારેય લગ્ન કર્યા નથી. અક્ષય કહે છે કે તે સિંગલ લાઇફ એન્જોય કરે છે અને તેને લગ્ન કે બાળકોમાં રસ નથી.
‘લેગસી’ના સેટ પર રવિના ટંડન અને ડિરેક્ટર વિજય ગુટ્ટે સાથે અક્ષય
OTT પર ડેબ્યૂ કરશે
અક્ષય ‘લિગેસી’ નામની વેબ સિરીઝથી ડિજિટલ ડેબ્યૂ કરશે. આ સિરીઝમાં તેની સાથે રવીના ટંડન પણ જોવા મળશે. તેના OTT ડેબ્યૂ પર, અક્ષયે કહ્યું હતું કે વેબ સિરીઝમાં કામ કરવું તેના માટે તાજગીભર્યું પરિવર્તન છે. ‘લિગેસી’ના દિગ્દર્શક વિજય ગુટ્ટે છે, જેની સાથે અક્ષયે 2019ની ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’માં કામ કર્યું છે. લિગેસીનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને તે 2024 અથવા 2025ના અંત સુધીમાં રિલીઝ થશે.