વોશિંગ્ટન23 મિનિટ પેહલા
- કૉપી લિંક
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના નાયબ પ્રવક્તા વેદાંત પેટલ (ફાઇલ)
યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)માં ભારતના કાયમી સભ્યપદ અંગે ઈલોન મસ્કના નિવેદન પર અમેરિકાની પ્રતિક્રિયા સામે આવી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા વેદાંત પટેલે એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, “અમેરિકા UNSC સહિત અન્ય UN સંસ્થાઓમાં સુધારાને સમર્થન આપે છે. આ સંસ્થાઓમાં કેટલાક બદલાવની જરૂર છે.”
વેદાંત પટેલે વધુમાં જણાવ્યું હતું કે, “રાષ્ટ્રપતિએ UNની બેઠકમાં પણ આ અંગે વાત કરી છે. અમે UNSCમાં સુધારાને સમર્થન આપીએ છીએ, જેથી 21મી સદી માટે યોગ્ય બનાવી શકાય. અમે અત્યારે કોઈ એક સુધારાનો ઉલ્લેખ કરી રહ્યા નથી. પરંતુ તે ચોક્કસ છે કે UNSCમાં બદલાવ કરવાની જરૂર છે.”
ઈલોન મસ્ક ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવવાના છે. મુલાકાત દરમિયાન તેઓ પીએમ મોદીને પણ મળશે.
‘ભારતને કાયમી સભ્યપદ ન આપવું તેને વાહિયાત ગણાવ્યું’
ટેસ્લાના માલિક ઈલોન મસ્કે જાન્યુઆરીમાં ભારતને UNSCમાં કાયમી સભ્યપદ ન આપવાને વાહિયાત ગણાવ્યું હતું. મસ્કે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “કેટલીક બાબતો પર UNમાં સુધારો કરવાની જરૂર છે. પરંતુ કેટલાક દેશો તેમની સત્તા છોડવા માંગતા નથી. વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ભારત માટે UNSCમાં કાયમી સભ્યપદ ન હોવું એ વાહિયાત છે.
આફ્રિકાને પણ સામૂહિક રીતે કાયમી સભ્યપદ મળવું જોઈએ. મસ્કની ટિપ્પણી યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે UNSCના સ્થાયી દેશોમાં કોઈ આફ્રિકન દેશની હાજરી ન હોવા પર ચિંતા વ્યક્ત કર્યા બાદ આવી હતી.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કોઈ આફ્રિકન દેશ પાસે UNSCનું સભ્યપદ ન હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
ભારત લાંબા સમયથી માંગ કરી રહ્યું છે
ભારત લાંબા સમયથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદની માંગ કરી રહ્યું છે. ભારત કાયમી સભ્યપદ દ્વારા વિકાસશીલ દેશોનું પ્રતિનિધિત્વ કરવા માંગે છે. હવે અમેરિકાના સમર્થન બાદ દેશની માંગ વધુ વેગ પકડી છે. ભારત UNSCમાં કાયમી સભ્યપદ માટે દેશોનું સતત સમર્થન મેળવી રહ્યું છે.
‘UNSCની બેઠક માટે અમે ક્યાં સુધી રાહ જોઈએ’
જાન્યુઆરીની શરૂઆતમાં, વિદેશ પ્રધાન એસ જયશંકરે યુએન સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સભ્યપદ માટે વધતા વૈશ્વિક સમર્થન પર ભાર મૂક્યો હતો. માર્ચમાં, UNમાં ભારતના કાયમી પ્રતિનિધિ રૂચિરા કંબોજે કહ્યું હતું કે સુરક્ષા પરિષદમાં સુધારા પર ચર્ચા 1990ના દાયકામાં શરૂ થઈ હતી. દુનિયા અને આપણી આવનારી પેઢીઓએ કેટલી રાહ જોવી પડશે? અમે વધુ રાહ જોઈ શકતા નથી.
રુચિરા કંબોજે સૂચવ્યું હતું કે આવતા વર્ષે UNની 80મી વર્ષગાંઠ છે અને સપ્ટેમ્બરમાં એક મહત્વપૂર્ણ શિખર સમેંલન યોજાવા જઈ રહ્યું છે. આવા સમયે આ જરૂરી સુધારાઓ લાવવા જોઈએ. ભારતીય જનતા પાર્ટીએ પણ ચૂંટણી પહેલા પોતાના મેનિફેસ્ટોમાં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં કાયમી સ્થાન મેળવવાનું વચન આપ્યું છે.
UNSCમાં 5 સ્થાયી સભ્યો છે – અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન. તેમાંથી 4 દેશો ભારતને સમર્થન આપવા તૈયાર છે, પરંતુ ચીન અવરોધ બની રહ્યું છે.
આ કારણે ભારત UNSCમાં કાયમી સભ્યપદ ઈચ્છે છે
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અથવા UNSC એ સંયુક્ત રાષ્ટ્રના છ મુખ્ય અંગોમાંથી એક છે. આ UNની સૌથી શક્તિશાળી સંસ્થા છે. તે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા અને યુએન ચાર્ટરમાં કોઈપણ ફેરફારોને મંજૂરી આપવા માટે જવાબદાર છે.
કેટલાક મામલામાં UNSC આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવા અથવા ફરીથી પ્રતિબંધો લગાવવા અથવા બળનો ઉપયોગ કરી શકે છે. તેનો અર્થ એ છે કે જો ભારત પણ UNSCનું કાયમી સભ્ય બની ગયું, તો વિશ્વના કોઈપણ મોટા મુદ્દા પર તેની સહમતિ જરૂરી રહેશે.