35 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનો પર વાંધો ઉઠાવ્યા બાદ ચૂંટણી પંચે સંજ્ઞાન લીધું છે. આચારસંહિતા ભંગના આરોપમાં પંચે ભાજપ અને કોંગ્રેસને નોટિસ મોકલીને જવાબ માગ્યો છે.
ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ એકબીજાના વરિષ્ઠ નેતાઓ પર ધર્મ, જાતિ, સમુદાય અને ભાષાના આધારે નફરત અને ભાગલા પાડવાનો આરોપ લગાવ્યો છે. બંને પક્ષોને 29 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ દાખલ કરવા સૂચના આપવામાં આવી છે.
ચૂંટણી પંચની બે ટિપ્પણી
1. ચૂંટણી પંચે બંને પક્ષોના પ્રમુખોને જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 77 હેઠળ જવાબ આપવા કહ્યું છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર આરોપ લગાવ્યો હતો અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગનો આરોપ લગાવ્યો હતો.
2. પંચનું કહેવું છે કે રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો, ખાસ કરીને સ્ટાર પ્રચારકોના વર્તનની સંપૂર્ણ જવાબદારી લેવી પડશે. ઉચ્ચ હોદ્દા પર બેઠેલા નેતાઓના ભાષણો વધુ ગંભીર પરિણામો લાવી શકે છે.
મોદી અને રાહુલ સામે ફરિયાદ
ભાજપની ફરિયાદઃ પાર્ટીએ સોમવારે ચૂંટણી પંચને કહ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દેશમાં ગરીબી વધવાના ખોટા દાવા કરી રહ્યા છે. ભાષાના આધારે દેશને ઉત્તર-દક્ષિણમાં વહેંચવામાં આવી રહ્યો છે. તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
કોંગ્રેસની ફરિયાદઃ પાર્ટીએ ‘સંપત્તિની વહેંચણી’ પર પીએમ મોદીના નિવેદન પર કાર્યવાહી કરવા માટે સોમવારે પંચને ફરિયાદ કરી હતી. કોંગ્રેસે આ નિવેદનને વિભાજનકારી, ખરાબ ઈચ્છાથી ભરેલું અને ચોક્કસ સમુદાયને નિશાન બનાવનાર ગણાવ્યું હતું.
ચૂંટણી પંચની નોટિસ પર કોંગ્રેસની પ્રતિક્રિયા
ચૂંટણી પંચ તરફથી કોંગ્રેસને મોકલવામાં આવેલી નોટિસ પર જયરામ રમેશે કહ્યું કે અમે પંચને ફરિયાદ કરી હતી. જે રીતે ભાજપ ધર્મનો ઉપયોગ કરી રહી છે, એમ કહીએ કે દુરુપયોગ કરી રહી છે. તે ખૂબ ચિંતાજનક છે. અમે આ નોટિસનો જવાબ આપીશું.
PM મોદી-રાહુલના કયા ભાષણો સામે નોટિસ…
1. જો કોંગ્રેસ આવશે, તો તે તમારી સંપત્તિ વધુ બાળકો ધરાવતા લોકોમાં વહેંચશે: PM
બાંસવાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા નિવેદનની ચૂંટણીપંચે તપાસ શરૂ કરી છે. પીએમ મોદીએ રાજસ્થાનના બાંસવાડામાં કહ્યું હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તે લોકોની સંપત્તિ મુસ્લિમોમાં વહેંચી દેશે. પીએમએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની ટિપ્પણીનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે દેશનાં સંસાધનો પર લઘુમતીઓનો પ્રથમ અધિકાર છે.
પીએમના આ નિવેદન સામે કોંગ્રેસ અને સીપીઆઈ-એમએ ચૂંટણીપંચમાં અલગ-અલગ ફરિયાદ કરી હતી. કોંગ્રેસે ચૂંટણીપંચને પીએમ મોદીના ‘સંપત્તિની વહેંચણી’ પરના નિવેદન પર કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. કોંગ્રેસે આ નિવેદનને વિભાજનકારી, ખરાબ ઈચ્છાથી ભરેલું અને ચોક્કસ સમુદાયને નિશાન બનાવનારું ગણાવ્યું હતું.
એ જ સમયે સીપીઆઈ(એમ)ના મહાસચિવ સીતારામ યેચુરીએ પણ એક પોસ્ટમાં ચૂંટણીપંચને આ ફરિયાદ પર ધ્યાન આપવા અને પીએમ મોદી અને ભાજપ વિરુદ્ધ કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. તેમણે આ કેસમાં FIR નોંધવાની પણ માગ કરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર…
2. ગરીબી વધી રહી છે, અમારી સરકાર આવશે તો એક જ ઝટકામાં ખતમ કરી દઈશુંઃ રાહુલ
ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ અલગ-અલગ જગ્યાએ ગરીબી વધવાનો દાવો કરી રહ્યા છે. તેમણે 11 એપ્રિલે રાજસ્થાનના બિકાનેરમાં કહ્યું હતું કે ભારતના 70 કરોડ લોકો કરતાં 22 લોકો અમીર છે. તેમણે એમ પણ કહ્યું કે જો તેમની સરકાર સત્તામાં આવશે તો ગરીબી એક જ ઝાટકે ખતમ થઈ જશે.
રાહુલના આ નિવેદન પર ભાજપે નીતિ આયોગના રિપોર્ટને ટાંકીને કહ્યું કે મોદી સરકારના કાર્યકાળમાં લગભગ 25 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવી ગયા છે. આવી સ્થિતિમાં રાહુલ ગરીબી વધવાનો ખોટો દાવો કરી રહ્યા છે.