સ્પોર્ટ્સ ડેસ્ક34 મિનિટ પેહલા
- કૉપી લિંક
આંધ્ર ક્રિકેટ એસોસિયેશન (ACA)એ એક મહિના પછી હનુમા વિહારીને કારણ બતાવો નોટિસ આપી છે. ભારતના આ બેટરે એક મહિના પહેલાં તેને આંધ્રના કેપ્ટન પદ પરથી હટાવવા માટે એસોસિયેશનમાં રાજકીય હસ્તક્ષેપની વાત કરી હતી. આ પછી જ એસોસિયેશને નોટિસ મોકલી છે.
ACA અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે ‘વિહારીએ હજુ સુધી નોટિસનો જવાબ આપ્યો નથી, જે થોડા દિવસો પહેલાં ACAની બેઠક બાદ આપવામાં આવી હતી. હા, અમે તેમને કારણ બતાવો નોટિસ મોકલી છે અને અમે તેમના જવાબની રાહ જોઈ રહ્યા છીએ. એસોસિયેશન આ મુદ્દાને લંબાવવા માગતું નથી.’
હનુમા વિહારીએ રણજી ટ્રોફી 2023-24 સિઝનની પ્રથમ મેચ બાદ કેપ્ટનશિપ છોડી દીધી હતી. આંધ્રને રણજી ટ્રોફી 2023-24 સિઝનની ક્વાર્ટર ફાઈનલમાં મધ્યપ્રદેશ સામે 4 રને હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ વિહારીએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. જેમાં તેણે એસોસિયેશનના દબાણમાં કેપ્ટનશિપ છોડવાની વાત કરી હતી.
વિહારીને પ્રથમ મેચ બાદ સુકાની પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો
વિહારીએ આંધ્રના કેપ્ટન તરીકે 2023-24ની રણજી ટ્રોફી સિઝનની શરૂઆત કરી હતી પરંતુ ગયા વર્ષના ઉપવિજેતા બંગાળ સામેની પ્રથમ મેચ બાદ તેણે પદ છોડ્યું હતું. રિકી ભુઈએ સિઝનની બાકીની મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું.
વિહારીએ તે સમયે કેપ્ટનશીપ છોડવા પાછળ અંગત કારણોને જવાબદાર ગણાવ્યા હતા. પરંતુ, જમણા હાથના બેટરે પાછળથી એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું કે એસોસિયેશને તેને રાજીનામું આપવા કહ્યું છે.
વિહારીએ કહ્યું, હું બંગાળ સામેની પ્રથમ મેચમાં કેપ્ટન હતો. તે મેચ દરમિયાન મેં 17મા ખેલાડી પર બૂમો પાડી અને તેણે તેના પિતા (નેતા)ને ફરિયાદ કરી, બદલામાં તેના પિતાએ એસોસિયેશનને મારી સામે પગલાં લેવા કહ્યું.
તેણે કહ્યું, અમે બંગાળ સામે 410 રનને ચેઝ કર્યો હતો, જેણે ગયા વર્ષે ફાઈનલમાં જગ્યા બનાવી હતી, પરંતુ મારી કોઈ ભૂલ ન હોવાને કારણે મને કેપ્ટનશિપમાંથી રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું હતું.
વિહારીએ ભારત માટે 16 ટેસ્ટ રમી છે
હનુમા વિહારીએ ભારત માટે કુલ 16 ટેસ્ટ રમી છે. તેણે 839 રન બનાવ્યા હતા. આમાં તેની એક સદી 2019માં વેસ્ટ ઈન્ડિઝ સામે આવી હતી. સિડનીમાં તેની 161 બોલમાં 23 રનની અણનમ ઇનિંગ પણ ઓસ્ટ્રેલિયા સામેની મેચ જીતવામાં મદદ કરી હતી.