અમદાવાદ1 કલાક પેહલાલેખક: નિર્મલ દવે
- કૉપી લિંક
ગુજરાતમાં મતદાનના દિવસે ભાજપની ઓફિસમાં કેવો માહોલ હતો? કેવી ચહલપહલ હતી? નેતાઓ શું કરતા હતા? દિવ્ય ભાસ્કરે આ બધાની વિગતો મેળવી.
ભાજપે અમદાવાદના એસજી હાઇવે ખાતે તૈયાર કરેલા મીડિયા સેન્ટર ખાતે અમારી ટીમ હાજર હતી. જેમ-જેમ મતદાન તબક્કાવાર આગળ વધી રહ્યું હતું તેમ તેમ મીડિયા સેન્ટર પર પદાધિકારીઓની અવરજવર ધીમે ધીમે ઓછી થતી હતી. આમ તો માત્ર પ્રવક્તા અને સહ પ્રવક્તાની ટીમ જ હાજર હતી પરંતુ એમાંથી પણ પદાધિકારીઓની સંખ્યા ઘટતી જતી હતી કેમ કે અલગ-અલગ લોકોને અલગ-અલગ મીડિયામાં ડિબેટ માટે જવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
એસજી હાઇવે પરથી મીડિયા સેન્ટર ખાતે અંદર આવતી વખતે જોઇએ તો કોઇ જ ચહલપહલ જણાતી નહોતી પરંતુ જેવી અમારી ટીમ અંદર પ્રવેશી કે તરત જ ડાબી બાજુએ સામે દેખાતી ચેમ્બર કે જેના દરવાજા પર કમળનું ચિત્ર રાખવામાં આવ્યું હતું એ ચેમ્બરમાં એક કે બે મુલાકાતી પોતાની વાત કરવા માટે આવ્યા હતા. જો કે એક પણ જાણીતા પદાધિકારી એ નાની ચેમ્બરમાં નહોતા.
અમદાવાદના એસ.જી.હાઇવે પર આવેલું ભાજપનું મીડિયા સેન્ટર
5 હોદ્દેદારો ચર્ચા કરતા હતા
બીજી તરફ જ્યારે અમે કોન્ફરન્સ હોલમાં પ્રવેશ્યા ત્યારે અંદર 3 મીડિયાકર્મી હાજર હતા. કોન્ફરન્સ હોલમાં આવેલા મંચ પર પ્રવક્તા અને સહ પ્રવક્તા કક્ષાનો હોદ્દો ધરાવતા કુલ 5 લોકો બેઠા બેઠા ચર્ચા કરી રહ્યા હતા. ચાર હોદ્દેદારો ખુરશીમાં બેઠા હતા જ્યારે એક હોદ્દેદાર ઇલેક્ટ્રિક એક્સટેન્શન બોર્ડમાં ચાર્જર લગાવી અને બાજુમાં પડેલી ખુરશી પર બેસીને ફોન ચાર્જ કરી રહ્યા હતા. આ તમામ લોકો વચ્ચે થઇ રહેલી ચર્ચામાં જાતજાતની વાતો આવી હતી જેમાં ખાસ કરીને આજે થયેલા મતદાન અંગે ચર્ચા થઇ રહી હતી.
ભાજપના મીડિયા સેન્ટરની અંદરનો માહોલ
શક્તિસિંહ ખોટી રીતે મુદ્દો બનાવતા હોવાની ચર્ચા
મતદાનના અલગ અલગ તબક્કા અંગે જ્યારે વાત કરવામાં આવી ત્યારે શરૂઆતના તબક્કામાં મતદાન વધશે, મતદાન વધારે થશે, મતદાન વધશે એટલે ભાજપને ફાયદો થશે વગેરે જેવી ચર્ચા થતી હતી. ધીમે ધીમે જેમ-જેમ સમય પસાર થતો ગયો એમ-એમ ચર્ચા વધારે મજેદાર બનતી જતી હતી. બપોરના બારેક વાગ્યાના સુમારે શક્તિસિંહ ગોહિલ જે રીતે ગાંધીનગરના વાસણ ગામ ખાતે પહોંચી ગયા હતા અને ત્યાં થતી મતદાન પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા હતા ત્યારે અહીં ચર્ચા ચાલતી હતી કે શક્તિસિંહ ખોટી રીતે આ મુદ્દો બનાવી રહ્યા છે.
મીડિયા સેન્ટરમાં નેતાઓની સંખ્યા ઓછી હતી
બનાસકાંઠામાં મતદાનના આંકડાથી નેતાઓમાં આત્મવિશ્વાસ
જેમ જેમ બનાસકાંઠામાં વધારે મતદાન થવાનો આંકડો સતત સામે આવતો રહ્યો તેમ તેમ ભાજપના અહીં બેઠેલા હોદ્દેદારો વધારે ને વધારે આત્મવિશ્વાસુ બનતા જતા હતા. જેટલું વધારે મતદાન થશે એટલો વધારે ભાજપને ફાયદો થશે એવી ચર્ચા તેઓ કરી રહ્યા હતા. સ્થાનિક પ્રજામાં જાગૃતિ આવી છે અને એનું આ પરિણામ વધારે મતદાન સ્વરૂપે મળી રહ્યું હોય એમ લાગે છે એવું નેતાઓ કહેતા હતા.
ક્ષત્રિયોની સ્ટ્રેટેજી
ક્ષત્રિયોએ પોતાની સ્ટ્રેટેજી બદલી અને સીધા બૂથ પર જતા રહેવાની રણનીતિ અંગે જ્યારે ચર્ચા થતી હતી ત્યારે આ અંગે પ્રવક્તા અને સહ પ્રવક્તા વચ્ચે ચર્ચા ચાલી રહી હતી કે, ક્ષત્રિયોની પહેલેથી જ આ જ રણનીતિ રહી હોવી જોઇએ કેમ કે મંજૂરી વગર કોઇ બૂથ પર જઇ જ ન શકે. જો આ રીતે ક્ષત્રિયો સીધા જ બૂથ પર ગયા છે તો નક્કી કોઈ ઉમેદવારને સાધી લીધો હોઇ શકે છે તો જ આ રીતે સીધા બૂથ પર જઇને એજન્ટ બની શકે એ વાત સર્વાનુમતે ચર્ચા સ્વરૂપે નક્કી કરવામાં આવી હતી.
ભાજપ જ્યાં પ્રેસ કોન્ફરન્સ સંબોધે છે તે રૂમ
સોલિડ પ્રો ગવર્મેન્ટ વેવ હોવાનો દાવો
મતદાન અંગે અમે જ્યારે ભાજપના સહ પ્રવક્તા ડો. જૈનિક વકીલ સાથે વાતચીત કરી તો તેમણે જણાવ્યું કે, ગઇ લોકસભા કરતાં લગભગ 15 થી 20 દિવસ મોડું મતદાન થયું છે છતાં કાળઝાળ ગરમીમાં પણ લોકો મોદીને વડાપ્રધાન બનાવવા માટે મતદાન કરી રહ્યા છે. સોલિડ પ્રો ગવર્મેન્ટ વેવ નિશ્ચિતપણે દેખાઇ રહ્યો છે ત્યારે 26 સીટ પર ભાજપનો વિજય થશે.
સાંજે મતદાન વધુ થાય
દિવસ દરમિયાન મતદાનના આંકડામાં ફેરફાર અંગે જૈનિક વકીલ કહે છે કે, 42 ડિગ્રી ગરમીમાં સવારના સેશનમાં વધારે મતદાન થાય છે. બપોરના સમયમાં સ્લેક પીરિયડ આવે છે અને બાકીના સાંજના દોઢ થી બે કલાકમાં મતદાન વધારે થાય છે. આ મતદાન ભાજપના 10 વર્ષની બેલેન્સ શીટ છે. જે કોંગ્રેસના 70 વર્ષના શાસન કરતા મોદી શાસનમાં મજબૂતીથી થયેલા એવા કામ જેમ કે, 370મી કલમ, ત્રિપલ તલાક હોય કે પછી સીએએ લાગુ કરવાની વાત હોય. આ તમામ મુદ્દાઓના આધારે ભાજપના સમર્થનમાં એક તરફી મતદાન થયું છે. તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસના કૌભાંડી શાસન તેમજ મુસ્લિમોના તુષ્ટિકરણની તેમની મેનિફેસ્ટોની વાત હોય કે ઓબીસી, એસસી અને એસટી અનામતને ઓછી કરવાની વાત હોય, આ તમામનો સોલિડ વિરોધ થઇ રહ્યો છે.
ભાજપના સહપ્રવક્તા ડૉ. જૈનિક વકીલ
ભાજપ તરફી ઉત્સાહ
બનાસકાંઠામાં વધારે થયેલ મતદાન પાછળ ગેનીબેનનો વેવ જવાબદાર હોવાના સવાલ અંગે સહ પ્રવક્તા કહે છે કે 4 જૂને પરિણામ આવે ત્યારે જ ખ્યાલ આવશે પણ જે અપપ્રચાર કરીને અથવા તો વોટરને ગુમરાહ કરવાનું કામ ગેનીબેન કરતા હતા તેની સામે ભાજપ તરફી ઉત્સાહ પ્રેરિત મતદાન થયું છે, ભાજપના ઉમેદવારનો વિજય થશે.
કોંગ્રેસને ખ્યાલ આવી ગયો છે કે 26 સીટ પર ભાજપ જીતશે
દાંતા વિસ્તારમાં ગાડીમાં પોલીસની ખોટી નંબર પ્લેટ લગાવી ભાજપનો પ્રચાર કરવાના ગેનીબેનના આક્ષેપ અંગે જૈનિક વકીલ કહે છે કે, પહેલા પણ અમિત શાહનો ફેક વીડિયો બહાર પાડવા પાછળ જીજ્ઞેશ મેવાણીના પીએની સંડોવણી બહાર આવી છે. હવે તેમને ખ્યાલ આવી ગયો છે કે 26 સીટ પર ભાજપ આવશે, ઇવીએમની પ્રોસિઝર બરાબર હોવાનું સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે. પરિણામ આવે તે સમયે તેમણે કંઈક તો બાકી રાખવું પડેને?
શક્તિસિંહના આરોપ અંગે શું કહ્યું?
શક્તિસિંહ ગોહિલે ગાંધીનગર લોકસભાના વાસણ ગામ ખાતે એક પ્રકારે બૂથ કેપ્ચરિંગ કરવામાં આવ્યું, ભાજપના મહિલા ધારાસભ્યના પતિ એ જઇને મતદાન બંધ કરાવ્યું હોવાના લગાવેલા આક્ષેપ અંગે જૈનિક વકીલ કહે છે કે, હાર ભાળી ગયેલી કોંગ્રેસ વલખા મારે છે, કોઈ વાતમાં દમ નથી, ભાજપની ગાંધીનગર કે અન્ય સીટ પર જીત નિશ્ચિત છે ત્યારે આવું કરવાની જરૂર જ નથી. મતદારોમાં વિશ્વાસ જોવા મળે છે. ગાંધીનગર લોકસભામાં સરેરાશ મતદાન કરતા પણ 2 થી 3 ટકા વધારે મતદાન થયું છે. અમિત શાહને જીતાડવા માટે ભાજપ તરફી મતદાન થયું હોય તો આવું વિચારવાનો જ પ્રશ્ન નથી ત્યારે પોતાનો વલોપાત ક્યાં કાઢવો એ માટે આવી વસ્તુ કરે છે. મારી દ્રષ્ટિએ કોંગ્રેસના આટલા મોટા લેવલના નેતા માટે આ અશોભનીય વાત છે.
અંતમાં અમે જ્યારે ક્ષત્રિયોની સ્ટ્રેટેજી અંગે તેમને પૂછ્યું ત્યારે તેમણે થેંક્યુ કહી અને માઈક પરત કરી દીધું હતું.