(એજન્સી) નવી દિલ્હી: ટીમ ઇન્ડિયા ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે વન ડે શ્રેણી હારી ગઈ. તા. ૩૦ મેથી ઈંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડકપ પહેલાં ટીમની આ અંિતમ વન ડે શ્રેણી હતી. હાલ શ્રેણી પરાજયથી વર્લ્ડકપને લઈને ટીમની તૈયારીઓ સામે સવાલો ઊઠી રહ્યા છે. જોકે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને આ સવાલોથી કોઈ ફરક પડતો હોય એવું લાગતું નથી. તેનું કહેવું છે કે વર્લ્ડકપની ટીમ ઇન્ડિયાના ૧૦ ખેલાડી નક્કી છે, ફક્ત એક સ્થાન માટેની દ્વિધા છે. તેણે હાર્દિક પંડ્યાના વર્લ્ડકપમાં રમવા અંગે પુષ્ટિ કરી દીધી છે.
વિરાટ અને બેટિંગ કોચ સંજય બાંગરનાં નિવેદનો તેમજ ઓસ્ટ્રેલિયા સામે શ્રેણીમાં રમી ચૂકેલા ખેલાડીઓના આધારે અંદાજ લગાવી શકાય છે કે વર્લ્ડકપ માટે પસંદ થનારી અંતિમ ઈલેવનમાં વિરાટ કોહલી ઉપરાંત રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયડુ, મહેન્દ્રસિંહ ધોની, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, ભુવનેશ્વરકુમાર, કુલદીપ યાદવ, મોહંમદ શામી અને જસપ્રીત બૂમરાહનું સ્થાન પાકું છે, જોકે આમાં રોહિત, શિખર, રાયડુ, હાર્દિક અને કેદારનું છેલ્લી ૧૦ વન ડેમાં પ્રદર્શન સાવ કંગાળ રહ્યું છે.
વર્લ્ડકપ માટે ૧૫ સભ્યની ટીમ પસંદ થવાની છે. ટીમમાં વિકેટકીપરના વિકલ્પ તરીકે દિનેશ કાર્તિક અને ઋષભ પંતમાંથી કોઈ એકને તક મળશે. બીજા સ્પિનરના વિકલ્પ તરીકે યુઝવેન્દ્ર ચહલનું સ્થાન પણ અંતિમ ઈલેવનમાં નક્કી છે. વધુ એક ઓલરાઉન્ડર માટે ટીમ મેનેજમેન્ટ વિજય શંકર અને રવીન્દ્ર જાડેજાના નામ પર વિચારણા કરી શકે છે. વિજય શંકરનું અંતિમ ઈલેવનમાં સ્થાન એટલા માટે નક્કી નથી, કારણ કે ગત દિવસોમાં બેટિંગ કોચ સંજય બાંગરે સ્પષ્ટ કહ્યું હતું કે ૪૦થી ૫૦ વન ડે રમનારો ખેલાડી જ વર્લ્ડકપની મેચમાં રમશે.