3 કલાક પેહલા
- કૉપી લિંક
આવનારા સમયમાં WhatsApp ભારતમાં સર્વિસ આપવાનું બંધ કરે તો નવાઈ નહીં. કંપનીએ દિલ્હી હાઈકોર્ટને કહ્યું કે જો તેને મેસેજનું એન્ક્રિપ્શન તોડવાની ફરજ પાડવામાં આવશે તો તે ભારત છોડી દેશે.
હકીકતમાં મેટા, વ્હોટ્સએપ અને ફેસબુકના બે મોટાં પ્લેટફોર્મે નવા સંશોધિત આઈટી નિયમો વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. કંપનીએ કોર્ટમાં કહ્યું કે, નવા નિયમોના કારણે યુઝરની પ્રાઈવસી જોખમમાં આવી શકે છે.
કોર્ટમાં વ્હોટ્સએપના વકીલની 3 મોટી વાતો
- IT નિયમો 2021 એનક્રિપ્શન સાથે યુઝર્સની પ્રાઇવસીને નબળી પાડે છે. તે ભારતીય બંધારણની કલમ 14, 19 અને 21 હેઠળના મૂળભૂત અધિકારોનું પણ ઉલ્લંઘન કરે છે.
- વિશ્વમાં ક્યાંય પણ આવા નિયમો નથી, બ્રાઝિલમાં પણ નહીં. આ નિયમ યુઝર્સની ગોપનીયતાની વિરુદ્ધ છે અને આ નિયમ કોઈપણ પરામર્શ વિના રજૂ કરવામાં આવ્યો હતો.
- અમારે સંપૂર્ણ સાંકળ રાખવી પડશે અને અમને ખબર નથી કે સરકાર કયા મેસેજ માગી શકે છે. મતલબ કે લાખો મેસેજ વર્ષો સુધી સ્ટોર કરવા પડશે.
એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન શું છે?
એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન એ એક કમ્યુનિકેશન સિસ્ટમ છે જેમાં મેસેજ મોકલનાર અને રિસીવ કરનાર સિવાય કોઈ સામેલ નથી. કંપની પણ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનમાં યુઝર્સના મેસેજ જોઈ શકતી નથી.
આ WhatsAppની પ્રાઈવસી સેટિંગ્સમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન વિશેની માહિતી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વ્હોટ્સએપ અને થર્ડ પાર્ટી એપ્સ તમારા મેસેજને વાંચી કે સાંભળી પણ શકતા નથી.
નવા નિયમોમાં મેસેજનો પ્રાયમરી સોર્સ બતાવવો પડશે
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે 2021ના નવા સંશોધિત ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) નિયમોને પડકાર્યા છે. આ નિયમો હેઠળ ચેટને ટ્રેસ કરવાની સાથે વ્હોટ્સએપએ પણ શોધવાનું રહેશે કે પ્રથમ વખત મેસેજ ક્યાંથી અને કોને મોકલવામાં આવ્યો હતો.
સરકારે કહ્યું- કંપની પ્રાઇવસીનું રક્ષણ કરતી નથી
અગાઉ, કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટને કહ્યું હતું કે વ્હોટ્સએપ અને ફેસબુક વ્યાપાર અથવા વ્યવસાયિક હેતુઓ માટે યુઝર્સની માહિતીનું મુદ્રીકરણ કરે છે. તેથી, કાયદેસર રીતે કંપની દાવો કરી શકતી નથી કે તે ગોપનીયતાનું રક્ષણ કરે છે.
સરકારે આ મામલે 3 મોટી વાતો કહી
- સરકારે કહ્યું કે WhatsApp પહેલાંથી જ ભારતમાં યુઝર્સને દેશની અંદર કોઈપણ વિવાદનો ઉકેલ લાવવાનો અધિકાર આપતું નથી, આ તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.
- જો IT નિયમો 2021 લાગુ કરવામાં નહીં આવે, તો એજન્સીઓને નકલી મેસેજ સ્ત્રોતને શોધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. આવા સંદેશાઓ અન્ય પ્લેટફોર્મ પર ફેલાશે, જે સમાજમાં શાંતિ અને સંવાદિતાને ખલેલ પહોંચાડી શકે છે.
- ઈન્ટરનેટ ખુલ્લું, સલામત અને ભરોસાપાત્ર હોવું જોઈએ અને પ્લેટફોર્મ યુઝર્સ માટે જવાબદાર હોવા જોઈએ. ભારતીય નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવી લેવાની કોઈને મંજૂરી આપી શકાય નહીં.