મુંબઈ37 મિનિટ પેહલા
- કૉપી લિંક
લોકપ્રિય ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કોઈને કોઈ વાતે ચર્ચામાં રહે છે. હવે આ સિરિયલમાં સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંહ દિલ્હીથી ગુમ થયો છે. ગુરુચરણના પિતા હરજીત સિંહે દિલ્હી પોલીસ સ્ટેશનમાં દીકરો ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.
દિલ્હીથી મુંબઈ આવતો હતો
ગુરુચરણ સિંહ દિલ્હીથી મુંબઈ આવવા નીકળ્યો હતો. જોકે, તે દિલ્હીમાં પણ નથી અને મુંબઈ ઘરે પણ આવ્યો નથી. દીકરો મુંબઈ ના પહોંચતા અંતે ગુરુચરણના પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી.
પોલીસ ફરિયાદ પ્રમાણે, ‘મારો દીકરો ગુરુચરણ સિંહ 50 વર્ષનો છે અને તે 22 એપ્રિલ, સવારે સાડ આઠ વાગ્યે મુંબઈ જવા એરપોર્ટ રવાના થયો. તે મુંબઈ પહોંચ્યો નથી કે ઘરે પણ આવ્યો નથી. તેનો ફોન પણ લાગતો નથી. તેની માનસિક સ્થિતિ સારી છે. અમે તેની શોધખોળ કરી, પરંતુ હવે તે મિસિંગ છે.’ ઉલ્લેખનીય છે કે ગુરુચરણ દિલ્હીમાં હતો ત્યાંથી તે મુંબઈ આવી રહ્યો હતો. જોકે, 22મી એપ્રિલે નીકળેલો ગુરુચરણ હાલમાં ક્યા છે તે કોઈને ખ્યાલ નથી.
2020માં સિરિયલ છોડ્યા બાદ ગુરુચરણ અન્ય કોઈ સિરિયલમાં જોવા મળ્યો નથી
પિતાને પોલીસ પર પૂરો ભરોસો
ગુરુચરણના પિતા હરજીત સિંહે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે પોલીસ અધિકારીઓ હાલમાં સહકાર આપી રહ્યા છે અને પરિવારને ખાતરી આપી છે કે તેઓ આ કેસમાં ઝડપથી તપાસ કરી રહ્યા છે. હરજીત સિંહે એમ પણ કહ્યું હતું કે SHO (સ્ટેશન હાઉસ ઑફિસર)એ ફોન કરીને કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં જ દીકરાને શોધી કાઢશે. તેમને આશા છે કે ગુરુચરણ જ્યાં પણ હશે ત્યાં ઠીક હશે. ઉલ્લેખનીય છે કે ગુરુચરણના ગુમ થયાની વિગતો 25 એપ્રિલે, સાઉથ દિલ્હી પોલીસ સ્ટેશનના પાલમ ગામ ખાતે કરવામાં આવી હતી.
દીકરો ગુમ થતાં માતા બીમાર પડ્યા
ગુરુચરણ ગુમ થતાં માતા બીમાર પડ્યા હોવાની ચર્ચા હતી અને તેમને હૉસ્પિટલમાં દાખલ કર્યા હોવાનું કહેવાતું હતું. હરજીતે કહ્યું હતું કે તેમના પત્ની હાલમાં ઘરે છે અને તેમની તબિયત સ્થિર છે. હાલનો સમય પરિવાર માટે ઘણો જ મુશ્કેલ છે, પરંતુ તેમને ભગવાન અને દેશના ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે.
ચાર દિવસ પહેલાં ગુરુચરણની સો.મીડિયા પોસ્ટ
ગુરુચરણે ચાર દિવસ પહેલાં સો.મીડિયામાં પિતાને જન્મદિવસની શુભેચ્છા આપતો વીડિયો પોસ્ટ કર્યો છે. ગુરુચરણ સો.મીડિયામાં અવાર-નવાર વીડિયો મૂકતો હોય છે.
જેનિફરના સમર્થનમાં કોર્ટમાં જુબાની આપવાનો હતો
જેનિફરે સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદી વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ કર્યો હતો. જેનિફરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, ‘ગુરુચરણે જ સિંગાપોરમાં અસિત મોદીના ખરાબ વર્તનથી મને મને બચાવી હતી. અસિત મોદી જ્યારે મારી સાથે ફ્લર્ટ ને ટચ કરવાની ટ્રાય કરી ત્યારે ગુરુચરણ જ વચ્ચે આવ્યો હતો અને અસિત મોદીને દૂર રહેવાની ચીમકી આપી હતી. તેને અસિત મોદીની હરકતોની જાણ હતી. મે, 2023માં ગુરુચરણે મને આશ્વાસન આપ્યું હતું કે તે મીડિયામાં કંઈ નહીં બોલે, પરંતુ કોર્ટમાં જરૂરથી જુબાની આપશે.’
‘અચાનક પોતાની વાતથી ફરી ગયો’
જેનિફરે વધુમાં કહ્યું હતું, ‘અચાનક 9 જૂન, 2023માં ગુરુચરણે મને ફોન કરીને મળવા બોલાવી. તેણે મને કહ્યું કે અસિત મોદીએ તેના સાડા ત્રણ વર્ષના બાકી પૈસા આપી દીધા છે. મને તેની વાત પરથી જ ખ્યાલ આવી ગયો કે હવે તે મારા માટે જુબાની આપશે નહીં. તેણે મને એવું પણ કહ્યું કે તે મારી ને અસિત વચ્ચે સમાધાન કરાવી શકે છે. મને ગુરુચરણની વાતો સાંભળીને આંચકો લાગ્યો, કારણ કે પોલીસે પણ કોઈ એક વ્યક્તિને વચ્ચે રાખીને સમાધાન કરવાની સલાહ આપી હતી.
સિરિયલમાં જેનિફર, ગુરુચરણની પત્નીના રોલમાં હતી
દેવું વધી જતાં ગુરુચરણ મુંબઈ ભાગી આવ્યો
ગુરુચરણે એક ઇન્ટરવ્યૂમાં મુંબઈ આવવાના કારણ અંગે કહ્યું હતું કે જ્યારે તેના માથે ઘણું જ દેવું વધી ગયું ને લોકો પૈસા પરત લેવા પાછળ પડી ગયા હતા. તેને ક્યાંયથી પણ પૈસા મળતા નહોતા અને તેથી જ તે મુંબઈ આવી ગયો હતો. મુંબઈમાં છ મહિના રહ્યા બાદ તેને ‘તારક મહેતા..’માં રોશન સિંહ સોઢીનો રોલ 2008માં મળ્યો હતો.
બે-વાર શો છોડ્યો
ગુરુચરણ 2008થી આ શો સાથે જોડાયો હતો. 2013માં તેણે આ શો છોડી દીધો હતો. 2014માં પબ્લિક ડિમાન્ડને કારણે ગુરુચરણ ફરી શોમાં જોડાયો હતો. છ વર્ષ સુધી કામ કર્યા બાદ 2020માં ગુરુચરણે ફરી આ શો છોડી દીધો હતો. હવે તેના સ્થાને બલવિંદર સિંહ સૂરી, રોશન સિંહનું પાત્ર ભજવે છે. શો છોડ્યા બાદ ગુરુચરણ અન્ય કોઈ સિરિયલમાં જોવા મળ્યો નથી. તેણે કહ્યું હતું, ‘જુઓ, મારા પિતાની તે સમયે સર્જરી થવાની હતી અને તે કારણે મેં શો છોડ્યો હતો, અન્ય કેટલીક બાબતો પણ હતી અને મારે તેના પર ધ્યાન આપવાનું હતું. જીવનમાં આગળ વધવાનું હતું અને બીજા કારણો પણ હતા. જોકે, તે આ અંગે વાત કરવા માગતો નથી.’