40 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે 29 પાયલટ વ્હેલ મૃત્યુ પામી. ઓસ્ટ્રેલિયાની પાર્ક્સ એન્ડ વાઇલ્ડલાઇફ સર્વિસે જણાવ્યું હતું કે પિયા કોર્ટિસ બીચ પર ગુરુવારે લગભગ 160 વ્હેલ આવી હતી. જેમાંથી 130ને બચાવી લેવામાં આવી હતી જ્યારે લગભગ 29નાં મોત થયાં હતાં.
વ્હેલના ફરી કિનારે આવવાના ભયથી સ્પોટર પ્લેન અને અનેક હોડીઓ દ્વારા તેમને મોનિટર કરવામાં આવી રહી છે. મરીન વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે બીચ પર આવ્યા પછી પાયલટ વ્હેલ મોટાભાગે માત્ર 6 કલાક સુધી જીવિત રહી શકે છે.
ફૂટેજમાં લોકો પાયલોટ વ્હેલને બચાવીને દરિયામાં છોડતા જોવા મળે છે.
માદા પાયલટ વ્હેલ અને તેમનાં બાળકો કિનારા પર ફસાયેલાં હતાં
ઓસ્ટ્રેલિયાની વાઇલ્ડલાઇફ સર્વિસ મૃત પાઇલટ વ્હેલના સેમ્પલ એકત્રિત કરશે અને તેની તપાસ કરશે. આ વ્હેલ શા માટે કિનારે આવી તે અંગે હજુ સુધી માહિતી મળી નથી. આમાં મોટે ભાગે માદા વ્હેલ અને તેમનાં બાળકોનો સમાવેશ થતો હતો.
ન્યૂયોર્ક ટાઈમ્સે નિષ્ણાતોને ટાંકીને કહ્યું કે પાઈલટ વ્હેલ સામાજિક છે. તેઓ એકબીજાની ખૂબ કાળજી લે છે. સામાન્ય રીતે જ્યારે વ્હેલ બીમાર પડે છે અથવા કિનારે ફસાઈ જાય છે, ત્યારે અન્ય પાયલટ વ્હેલ તેમને બચાવમાં માટે કિનારે આવી જાય છે.
ઓસ્ટ્રેલિયાના ડન્સબરો શહેરમાં બીચ પર 29 પાયલટ વ્હેલનું મોત થયું છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર પાઇલટ વ્હેલ ઘણીવાર બીજી વ્હેલની મદદ કરવા કિનારે આવે છે અને પછી ત્યાં ફસાઈ જાય છે.
ગયા વર્ષે, બે દેશોમાં 100થી વધુ પાયલટ વ્હેલ મૃત્યુ પામી હતી
છેલ્લાં કેટલાંક વર્ષોથી ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના દરિયાકાંઠે પાયલટ વ્હેલના મૃત્યુની ઘટનાઓ સતત વધી રહી છે. ગયા વર્ષે પણ જુલાઈમાં લગભગ 100 પાયલટ વ્હેલ ઓસ્ટ્રેલિયામાં કિનારે પહોંચી હતી. જેમાંથી 51નાં મોત થયાં હતાં. સ્કોટલેન્ડમાં પણ ગયા વર્ષે 55 પાયલટ વ્હેલ મારી ગઈ હતી.
વર્ષ 2022માં ન્યુઝીલેન્ડમાં બે અલગ-અલગ ઘટનાઓમાં ફસાઈ જવાને કારણે લગભગ 500 પાયલટ વ્હેલ આવી જ રીતે મૃત્યુ પામી હતી. તેવી જ રીતે 2020માં ઓસ્ટ્રેલિયાના તાસ્માનિયામાં 450થી વધુ પાયલટ વ્હેલ મૃત્યુ પામી હતી.
પાઇલટ વ્હેલ શું છે?
- પાઇલટ વ્હેલ એ દરિયાઈ ડોલ્ફિનની એક પ્રજાતિ છે, જે જૂથોમાં મુસાફરી કરે છે. એ બીચ પર ગ્રૂપ લીડર (પાઇલટ)ને અનુસરે છે અને જ્યારે ગ્રૂપનો કોઈ સભ્ય ઘાયલ થાય છે ત્યારે મોટી સંખ્યામાં એની આસપાસ ભેગી થાય છે.
- નિષ્ણાતોના મતે, પાઇલટ વ્હેલ હંમેશાં સાથે રહે છે. જો એક વ્હેલ ક્યાંક અટવાઈ જાય, તો બીજી પણ એને અનુસરે છે. આ જ કારણ છે કે દરિયાકિનારે આટલી બધી વ્હેલ એકસાથે મરી રહી છે.
- એવું કહેવાય છે કે ક્યારેક વ્હેલ કિનારે આવે છે અને પછી તકલીફમાં અન્ય વ્હેલને સંકેતો મોકલે છે. એ વ્હેલના સંકેત મળતાં જ અન્ય વ્હેલ પણ એની નજીક આવવા લાગે છે અને ફસાઈ જતી હોય છે. વ્હેલ નિષ્ણાતો કહે છે કે જ્યારે પાણીનું સ્તર નીચું હોય ત્યારે પણ ઘણી વખત તેઓ ભટકાઈ જાય છે.